અમદાવાદ: મોદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના પતંગ હોટલ ખાતે ‘મીટ એન્ડ ગ્રીટ’ કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટના સ્થાપક અને અમદાવાદના ખ્યાતનામ તથા પ્રખ્યાત બિઝનેસમેન સુકેતુ મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
સુકેતુ મોદી પોતાના વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા મેળવવાની સાથે સાથે સમાજસેવા માટે પણ સતત કાર્યરત છે. તેઓ દ્વારા સંચાલિત મોદી ચેરીટેબલ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ ક્ષેત્રોમાં જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગને સેવા પહોંચાડવાનો છે.
આ અનોખી પહેલ અંતર્ગત સુકેતુ મોદીએ દર વર્ષે અમદાવાદના સુખી-સંપન્ન, પ્રખ્યાત અને સમાજમાં આગવું સ્થાન ધરાવતા મહાનુભાવોને એક મંચ પર લાવી ‘મીટ એન્ડ ગ્રીટ’ કાર્યક્રમ યોજવાનો સંકલ્પ કર્યો છે. આ કાર્યક્રમ દ્વારા તેઓ પોતે કરી રહેલા સામાજિક અને સેવાકીય કાર્યો અંગે માહિતી આપી અન્ય લોકોને પણ આવા કાર્ય કરવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કરે છે.
આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે, “આજે હું જે સ્થાન પર છું તે સંપૂર્ણપણે સમાજના આશીર્વાદ અને ભગવાનની કૃપાના કારણે છે. તેથી સમાજ પ્રત્યે મારી ફરજ બને છે કે હું મારી ક્ષમતાનુસાર સેવાકીય કાર્યો કરું અને અન્ય લોકોને પણ તે માટે પ્રેરણા આપું.”
મોદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ‘મીટ એન્ડ ગ્રીટ’ કાર્યક્રમ સમાજસેવા પ્રત્યેની જવાબદારી અને સકારાત્મક વિચારધારાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.
