ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૩૧ ઓક્ટોબર,૨૦૨૫ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિહ મહિડાએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોષી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લા કલેકટરશ્રી સહિતના વિવિધ ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં. આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી શ્રી સંજયસિહ મહિડાએ વરસાદની આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ ધરાવતા જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું તેમજ તંત્ર દ્વારા કરાયેલી તમામ આગોતરી તૈયારીઓની પણ તેમણે સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત રાજ્યમંત્રી મહિડાએ પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સૂચના આપી હતી. સાથે જ, રાજ્યના વિવિધ સ્થળો ખાતે ડીપ્લોય કરાયેલી NDRF અને SDRF ટીમોની માહિતી મેળવીને રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાયે વધુ ટીમ ડીપ્લોય કરવા તેમણે સૂચન કર્યું હતું.
આ બેઠક પૂર્ણ થયા બાદ શ્રી સંજયસિંહ મહિડાએ SEOC ખાતે કાર્યરત કંટ્રોલરૂમની મુલાકત લઈને અધિકારીશ્રી અને કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
