અમદાવાદ : તાજેતરમાં ગાંધીનગર મેયર અને ડેપ્યૂટી મેયર પદને લઇ યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા રદબાતલ જાહેર કરવાની માંગણી કરતી એક મહત્વની રિટ અરજી આજે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજીની અરજન્ટ સુનાવણી હાથ ધરવા પણ અરજદારપક્ષ તરફથી વિનંતી કરાઇ હતી. જા કે, હાઇકોર્ટે કેસની સુનાવણી આવતીકાલે તા.૨૩મી નવેમ્બરના રોજ મુકરર કરી હતી. હાઇકોર્ટમાં થયેલી આ રિટ અરજીમાં અરજદારપક્ષ તરફથી કેટલાક ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જેમાં કોર્ટના હુકમનું મનઘડંત અર્થઘટન કરી સત્તાવાળાઓ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. એટલું જ નહી, ચૂંટણી ટાણે જ કોંગ્રેસ પક્ષના એક કાઉન્સિલરનું અપહરણ થયું હોય એવા સંજોગોમાં ચૂંટણી પ્રક્રિયા ન થઈ શકે, તે પ્રસ્થાપિત હોવા છતાં ચૂંટણીની કાર્યવાહી કરવામાં આવી છે.
આ સંજાગોમાં અપહ્યત કાઉન્સિલરનો મત ગણીને નવેસરથી ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. અરજદારપક્ષ તરફથી ગાંધીનગરના મેયર-ડેપ્યુટી મેયર પદ માટેની યોજાયેલી ચૂંટણી ગેરકાયદે, અયોગ્ય અને લોકશાહીના પ્રસ્થાપિત સિધ્ધાંતોની વિરૂધ્ધની હોઇ હાઇકોર્ટે તેને રદબાતલ જાહેર કરવી જાઇએ તેવી પણ દાદ માંગવામાં આવી હતી. જા કે, આ અરજીની સુનાવણી હવે તા.૨૩મી નવેમ્બરે હાથ ધરાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મનપાની ચૂંટણી વખતે બે ટર્મથી કોર્પોરેટર પદ્દે ચૂંટાતા સભ્ય અંકિત અશ્વીનભાઇ બારોટ ચૂંટણીના આગલા દિવસે બપોર બાદ ગાયબ થઇ જતાં કોંગ્રેસ પક્ષમાં ભાગદોડ મચી ગઇ હતી અને રાત્રે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. ચૂંટણી થઇ ગયા બાદ અંકિત બારોટ મળી આવ્યો હતો. ગાંધીનગર મનપાની આ ચૂંટણી માટે સામાન્ય સભા મળી ત્યારે અંકિત બારોટના મામલે ભારે હોબાળો મચ્યો હતો.
એક તબક્કે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝઘડા, બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ભાજપ જૂથના કોર્પોરેટરોએ કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરોને જારદાર હુમલાના નિશાન બનાવ્યા હતા અને તેમને માઇક સહિતની વસ્તુઓ ઝઘડા દરમ્યાન મારી લોહીલુહાણ કર્યા હતા તો, કોંગ્રેસની મહિલા કોર્પોરેટરના પણ ગળા દબાવી તેઓને ધક્કા મારી સભાખંડમાંથી બહાર કઢાયા હતા. કોંગ્રેસની એકાદ-બે મહિલા કોર્પોરેટરની સાડીઓ પણ ખેંચાઇ હતી, જેને લઇ સમગ્ર વાત વણસી હતી અને લોકશાહીના લીરેલીરા ઉડ્યા હતા. ત્યાર બાદ ચૂંટણી અધિકારીઓએ લોખંડી બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં મહિલા મેયર તરીકે ભાજપ રીટા કેતન પટેલ અને ડેપ્યૂટી મેયર તરીકે નાજાકુમાર ધાંધરને કોંગ્રેસના ઉમેદવારોને મળેલા ૧૪ મત સામે ૧૬ મત મળતા તેમનો વિજય નિશ્ચિત થઇ ગયો હતો. હવે આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સમગ્ર મામલાની મહત્વની સુનાવણી હાથ ધરાશે.