વર્ષોથી અટવાયેલુ રાષ્ટ્રીય મેડિકલ કમીશન બિલ સંસદના વર્તમાન સત્રમાં પાસ થઇ ગયા બાદ આને લઇને પણ મોટી રાહત થઇ છે. મોટા શિક્ષણશાસ્ત્રીઓ આને પણ મોદી સરકારની એક મોટી સફળતા તરીકે ગણી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે હવે મેડિકલ શિક્ષણમાં રહેલી તમામ બિમારીઓ દુર થવા માટેનો માર્ગ મોકળો થઇ જશે. મેડિકલ અભ્યાસ આડે રહેલી તમામ સમસ્યા દુર થશે. જેમાં લાંચ રૂશ્વત પર અંકુશ મુકવા જેવી બાબતનો સમાવેશ થાય છે. સરકારે દાવો કર્યો છે કે મેડિકલ શિક્ષણ આડે રહેલી તમામ બિમારીઓ હવે દુર થઇ રહી છે. આ બિલ પાસ કરવામાં આવ્યા બાદ આગામી દિવસોમાં ડોક્ટરોની ગુણવત્તા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. પ્રાઇવેટ કોલેજની સ્થિતીમાં પણ ઉલ્લેખનીય સુધારો થઇ શકે છે.
તબીબો આની સામે મોરચો ખોલી ચુક્યા છે. હાલમાં તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષે પણ આનો વિરોધ કર્યો છે. દરેક નાગરિકની જિન્દગીને ખુબ નજીકથી પ્રભાવિત કરનાર આ બિલની કેટલીક વાસ્તવિકતાને સમજી લેવાની તાકીદની જરૂર દેખાઇ રહી છે. સંસદની મંજુરી મળી ગયા બાદ રાષ્ટ્રપતિ તેના પર મંજુરીની મહોર મારી ચુક્યા છે. હવે આ કાનુન બની ગયા બાદ કેટલીક નવી વ્યવસ્થા અમલી બનનાર છે. જે બાબતો સારી થશે તેમાં સૌથી પહેલી બાબત તો આના કારણે લાંચ પર બ્રેક મુકી શકાશે. હજુ સુધી મેડિકલ કોલેજની મંજુરી લેવા માટે મેજિકલ કાઉન્સિલમાં જવાની ફરજ પડતી હતી. હવે આવી જરૂર પડશે નહીં. કેટલીક વખત કોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યુ હતુ કે મેડિકલ કાઉન્સિલને ખતમ કરવાની જરૂર છે. કારણ કે તે ભ્રષ્ટાચારના કેન્દ્ર તરીકે હતી. સરકારનો દાવો છે કે નવા મેડિકલ કમીશનમાં ઇન્સ્પેક્ટર રાજથી મુક્તિ આપાવવાની વ્યવસ્થા રહેશે. આમાં પારદર્શિતા લાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. આના માટે આમાં જુદા જુદા બોર્ડ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે અપીલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હજુ સુધી પ્રાઇવેટ મેડિકલ કોલેજના તબીબને લઇને લોકોમાં કેટલીક શંકા રહેતી હતી. નવી વ્યવસ્થામાં જે પણ ડોક્ટર બનશે તે સંપૂર્ણ પણે કુશળ રહેશે. તે હવે એક જ પરીક્ષા એટલે કે નેક્સ્ટ પાસ કરીને ડોક્ટર બની શકે છે. આ પરીક્ષા કેન્દ્રિય એજન્સી દ્વારા લેવામાં આવનાર છે. આવી જ રીતે પહેલા કહેવાતા ડોક્ટર પર માત્ર એક હજાર રૂપિયાનો દંડ હતો. આની જગ્યાએ હવે પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ રહેશે. પ્રથમ વખત તમામ મેડિકલ કોલેજોની રાષ્ટ્રીય સ્તર પર રેટિંગ કરવામાં આવનાર છે. આ રેટિંગમાં મેડિકલ કોલેજના માળખાને લઇને તમામ સુવિધાને ધ્યાનમાં લેવામાં આવનાર છે. અહીં રહેલા પ્રોફેસરના સ્તર અને અન્ય બાબતો પર ધ્યાન આપવામાં આવનાર છે.
આના કારણે પ્રાઇવેટ કોલેજની ગુણવત્તામાં ઉલ્લેખનીય સુધારો થઇ શકે છે. આ રીતે વિદ્યાર્થીઓને પહેલાથી જ મેડિકલ કોલેજના સંબંધમાં માહિતી મળી શકશે. સરકારનુ કહેવુ છે કે નવી વ્યવસ્થા બિલકુલ પારદર્શી રાખવામાં આવનાર છે. તબીબોની કમીને દુર કરવાની દિશામાં આ પહેલ ઉપયોગી સાબિત થઇ શકે છે. પારદર્શી વ્યવસ્થાના કારણે પ્રાઇવેટ કોલેજનુ વિસ્તાર કરવામાં આવનાર છે. સાથે સાથે પહેલી વખત કોમ્યુનિટી હેલ્થ પ્રોવાઇડર્સને પણ મંજુરી આપી દેવામાં આવી છે. આના કારણે ગ્રામીણ અને પછાત વિસ્તારના લોકોને પણ નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ મળી શકશે. આ એવા તબીબો રહેશે જે તબીબોને મર્યાદિત લાયસન્સ આપવામાં આવનાર છઠે. તેમને માત્ર સામાન્ય સારવાર કરવા અને બચાવ સંબંધી સલાહ આપવાની મંજુરી રહેશે.
કેટલાક મામલે સરકાર દાવો કરી રહી છે કે રાષ્ટ્રીય મેડિકલ કમીશન બિલ લાગુ કરવામાં આવ્યા બાદ હવે મેડિકલ શિક્ષણ સાથે જોડાયેલી અનેક ખામી દુર થશે અને બિમારીઓનો ઉકેલ આવશે. મેડિકલ કોલેજની ફી, હોસ્ટેલ અને બિલ્ડિંગના નામ પર વસુલીને પણ બંધ કરવામાં સફળતા હાંસલ થશે. ત્રણ વર્ષની અંદર નેક્સ્ટનુ આયોજન કરવામાં આવનાર છે. પાંચમી ઓગષ્ટના દિવસે સંસદની મંજુરી મળી ગઇ હતી. એમબીબીએસની કુલ સીટોની સંખ્યા હાલમાં ૮૦૦૦૦ રહેલી છે. ૪૦૦૦૦ પ્રાઇવેટ કોલેજામાં એમબીબીએસની સીટો રહેલી છે. આ ઉપરાંત ૨૦૦૦૦ પ્રાઇવેટ સીટો માટે રાજ્યો પોતે વ્યવસ્થા કરી શકે છે.