માર્કશીટમાં નામને લઇ ભૂલ સુધારવા ૫૦૦ ભરવા પડશે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અમદાવાદ: ધોરણ-૧૦માં બોર્ડની પરીક્ષા બાદ માર્કશીટ તેમજ નામમાં કોઈ પણ ભૂલ થાય તો એક મહિનામાં જ સુધારી શકાશે. શિક્ષણ બોર્ડે જાહેર કરેલ મહત્વની ગાઈડલાઇનમાં જણાવાયુ છે કે, ધો.૧૦ની માર્કશીટ તેમજ આખા નામમાં ભૂલ હોય તો એક મહિનામાં જ રૂ.પ૦૦ ભરી નવી માર્કશીટ કઢાવી શકાશે. આમ, માર્કશીટ અને નામમાં ભૂલના કિસ્સામાં એક મહિનામાં સુધારો  કરાવી શકાશે. જો કે, બીજીબાજુ, બોર્ડ દ્વારા ભૂલ સુધારવા નિયત કરાયેલી ફીને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કયાંક નારાજગીની લાગણી ફેલાઇ છે.

ઉપરાંત, જા વિદ્યાર્થીની માર્કશીટમાં આખું નામ બદલવું હશે તો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરવી પડશે. શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઇન ફોર્મની તારીખો જાહેર કરાયા બાદ ફોર્મ ભરતા સમયે રાખવાની કાળજી અંગે પણ માહિતી જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સ્કૂલ અને વિદ્યાર્થીએ નામ, અટક, પિતાનું નામ, જીઆર નંબર, જન્મતારીખ, વાલીની વાર્ષિક આવક, વિદ્યાર્થીઓનો ફોટો વગેરેમાં તકેદારી રાખવી. ખાસ કરીને સ્પેલિંગમાં ભૂલ ન થાય તેની ખાસ કાળજી સ્કૂલ અને વાલીએ રાખવી. શક્ય હોય તો વિદ્યાર્થીનું આધારકાર્ડ પણ જોડવું જોઇએ. વિદ્યાર્થીએ ફોર્મ ભરાયા બાદ તેની પ્રમાણિત કરેલી નકલ પણ પોતાની પાસે રાખવા બોર્ડે સૂચના આપી છે.

બોર્ડ દ્વારા ધો.૧૦ના ફોર્મ ભરવા માટે એક મહિનાનો સમય અપાયો છે. ધો.૧૦માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧ ડિસેમ્બર છે. ધો-૧૦માં ફોર્મ ભરવા માટે નિયમિત વિદ્યાર્થીઓ પાસેથી ૩રપ, ૧ વિષયમાં રિપિટર પાસેથી ૧ર૦, ર વિષયમાં રિપિટર પાસેથી ૧૭૦, ૩ વિષયમાં રિપિટર પાસેથી રર૦, ૩ કરતાં વધારે વિષયમાં રિપિટર વિદ્યાર્થીઓ પાસેથી ૩૧પ અને ખાનગી વિદ્યાર્થીઓ પાસેથી ૬૬પ ફોર્મ ફી બોર્ડ તરફથી વસૂલ કરવામાં આવશે. આમ, બોર્ડ દ્વારા નિયત કરાયેલી ફીની રકમને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગીની લાગણી ફેલાઇ છે. વાલીઓના મતે, બોર્ડે આટલી ઉંચી ફી ના રાખવી જોઇએ, બોર્ડે ફી વસૂલવી હોય તો તે ટોકન માત્ર રાખી શકે. આ પ્રકારના અભિગમથી શિક્ષણમાં વ્યાપારની ભાવના પ્રવેશવાની દહેશત સર્જાય, જે ના થવું જાઇએ.

 

 

Share This Article