પુલવામાં ત્રાસવાદીઓ સામે શરૂ કરાયેલુ મોટુ ઓપરેશન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પુલવામા : જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ હાલમાં તેમના અસ્તિત્વની લડાઇ હવે લડી રહ્યા છે. સેનાના ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવી રહ્યો છે. રવિવારના દિવસે પાંચ કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ હવે ત્રાસવાદીઓ બદલો લેવા માટે હુમલાની ફિરાકમાં છે. ઉરીમાં રવિવારની રાત્રે કેમ્પની નજીક શંકાસ્પદ ત્રાસવાદીઓની ગતિવિધી જાવા મળી હતી. ત્યારબાદ સાવધાન થયેલા સુરક્ષા દળોએ તરત જ કાર્યવાહી હાથ ધરી હતી. સર્ચ ઓપરેશનના ભાગરૂપે બે લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ત્રાસવાદીઓ સતત હુમલાના પ્રયાસ કરી રહ્યા છે.

ત્રાસવાદીઓને આજે સવારમાં ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સેનાને હાલમાં મોટી સફળતા હાથ લાગી હતી. સેનાએ મોટુ ઓપરેશન પાર પાડીને પાંચ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ કાર્યવાહીમાં એક અધિકારી પણ શહીદ થયા હતા. આઠ કલાકથી પણ વધુ સમય સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારોનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. શનિવારે મોડી રાત્રે સેનાને કેલમ વિસ્તારમાં ત્રાસવાદીઓની ઉપસ્થિતિ અંગે માહિત મળી હતી.

આ માહિતી મળ્યા બાદ સેનાની નવ રાષ્ટ્રીય રાયફલ, જમ્મુ-કાશ્મીર પોલીસના એસઓજીની ટુકડી અને કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સની ટીમના જવાનોએ ઓપરેશન હાથ ધર્યું હતું અને કેલમ ગામમાં જારદાર ઘેરાબંધી કરી હતી. ત્યારબાદ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન બાદ બે ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવતા ત્રાસવાદીઓનો ખાત્મો થયો હતો.

 

Share This Article