પાટણ: સિંગર કિંજલ રબારી આંતરજ્ઞાતીય લગ્ન વિવાદ બાદ ઘરે પરત, જાણો શું હતી સમગ્ર ઘટના

Rudra
By Rudra 2 Min Read

પાટણ: ગુજરાતી લોકગાયિકા Kinjal Rabariના આંતરજ્ઞાતીય લગ્નના મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. કિંજલ રબારી હવે પોતાના ઘરે પરત ફરી છે. રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની સમજાવટ બાદ કિંજલ અને અશોક ચૌધરીને સમાજના આગેવાનોને સોંપવામાં આવ્યા હતા, ત્યારબાદ બંનેને તેમના પરિવારને પરત સોંપી દેવામાં આવ્યા છે.

માહિતી મુજબ, બંને સમાજ વચ્ચે કોઈ પ્રકારનો વર્ગવિગ્રહ ન થાય તે માટે સમાજના આગેવાનો દ્વારા ચર્ચા અને પરામર્શ કર્યા બાદ બંનેના પ્રેમલગ્નનો મુદ્દો અહીં સમાપ્ત કરવાનો નિર્ણય લેવાયો છે. કિંજલને તેના પરિવારને સોંપવામાં આવી છે, જ્યારે અશોક ચૌધરીને તેના મામાના હવાલે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ અગાઉ અશોક ચૌધરી સાથે લગ્નની માહિતી સામે આવ્યા બાદ રબારી સમાજના કેટલાક આગેવાનો દ્વારા આ લગ્નનો કડક વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ કિંજલને ઘરે પરત આવવા અપીલ કરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ તો કિંજલને નાત બહાર મૂકવાની પણ ચેતવણી આપવામાં આવી હતી અને લોકોને તેને શોધવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કિંજલ રબારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરીને પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું અને પોતાને તથા પોતાના પતિને જીવનું જોખમ હોવાની વાત કરી પોલીસ પાસે સુરક્ષાની માંગ પણ કરી હતી. હાલ, તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બંને પોસ્ટ દૂર કરવામાં આવી છે.

માહિતી અનુસાર, ગત શુક્રવારે મોડી રાત્રે લગભગ 11થી 12 વાગ્યાની વચ્ચે કિંજલ ઘરે પરત ફરી હતી. બંને સમાજના આગેવાનો વચ્ચે થયેલી ચર્ચા બાદ આ મામલે તાત્કાલિક સમાધાન લાવવામાં આવ્યું છે. જોકે, આ સમગ્ર મુદ્દે વધુ સ્પષ્ટતા સમાજના આગેવાનો સાથેની આગળની ચર્ચા બાદ સામે આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે કિંજલ રબારી પાટણ જિલ્લાના Sinad villageની વતની છે અને તેણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની મરજીથી આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હોવાની માહિતી આપી હતી, જેના કારણે આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Share This Article