કાળી ચૌદશ: તાંત્રિકો માટે જ નહિ ,સાત્વિક ઉપાસકો ઇષ્ટદેવના સ્મરણ-પૂજન કરે છે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરી પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા. જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.

કકળાટ કાઢવાની વિધિ એટલે ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવી. આ પ્રથા પાછળનો આશય વર્ષના છેલ્લા દિવસે આપણા ઘરના કલેશ ,અશાંતિ તેમજ શરીરના વિકારોને દૂર કરવાનો છે. કાળીચૌદશની સાંજે લોકો દ્વારા તેલમાં તળેલાં વડા ઘરના સભ્યોના માથા પરથી ઉતારી તેને ચાર રસ્તે દિવા સાથે મુકાય છે અને ફરતે પાણીની ધાર કરી કુંડાળા કરવામાં આવે છે. આ વિધિને કકળાટ કાઢવાની વિધિ કહેવાય છે. અમુક ગામ કે શહેરમાં તો લોકો થાળી વગાડતાં-વગાડતાં કકળાટ કાઢવા જાય છે.

કાળી ચૌદશે ભાવિક ભક્તો હનુમાનજી મંદિરે  જળ, તેલ, સિંદૂર, કાળા અડદથી હનુમાન દાદાનું પૂજન અર્ચન છે. એટલું જ નહી હનુમાનજી ના ચરણ પર લગાવેલ સિંદૂર લાવી આ  સિંદૂર ના પાંચ ચાંલ્લા ઘરના પ્રવેશ દ્વારની બારશાખ  પર કરવાનો મહિમા છે. આ વિધિ પાછળ હનુમાનજી ઘરનું કરતા હોવાની લોકવાયકા છે.

કાળી ચૌદશે અમાસની અંધારી રાત્રિએ સ્મશાનમાં જઇને તાંત્રિકો મંત્ર સિધ્ધિ કરે છે. સાત્વિક ઉપાસકો ઇષ્ટદેવના સ્મરણપૂજન  દ્વારા મંત્ર સાધના કરે છે. ઘરને શાંત અને સુખી બનાવવાનો, ઘરમાથી કાળ કાઢવાનો અવસર એટલે કાળી ચૌદશ. તંત્ર વિદ્યામાં વિશ્વાસ ધરાવતા શ્રાધ્ધાળુઓ ઘરમાંથી કકળાટ, ગુસ્સો, ખરાબ તત્વોનો નાશ કરવા ચાર રસ્તા પર વડા, ખીર વગેરે વસ્તુ મૂકીને કાંઇ પણ બોલ્યા વિના કે તેની સામે જોયા વિના પાછા ફરે છે.

Share This Article