ભોપાલ : જ્યોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માગ ઉઠી છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયની બહાર સિંધિયાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટે પોસ્ટર લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં રાહુલ ગાંધીને અપીલ કરવામાં આવી છે કે સિંધિયાને રાષ્ટ્રીય નેતૃત્વની જવાબદારી આપવામાં આવે. સિંધિયાએ હારની જવાબદારી લઈ રાજીનામું આપ્યું જ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે પોતાના મહાસચિવના પદ પરથી રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારતા તેમને રાજીનામું આપી દીધું છે.
રાહુલ ગાંધીના રાજીનામા બાદ દેશભરમાંથી પાર્ટીના પદાધિકારીઓના વિરોધ અને રાજીનામાનો સિલસિલો યથાવત છે. પાર્ટી પર દેખરેખ રાખવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચનાઃ કોંગ્રેસે ઉત્તરપ્રદેશમાં તમામ જિલ્લા કોંગ્રેસ કમિટીઓનો પણ ભંગ કર્યો અને શિસ્ત તથા પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓની ફરિયાદોને પર દેખરેખ રાખવા માટે જૂનમાં એક ત્રણ સભ્યોની શિસ્ત સમિતિની રચના કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી પહેલા પશ્વિમ ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવાયેલા સિંધિયાએ રવિવારે ટ્વીટ કરીને કહ્યું કે, લોકોના નિર્ણયનો સ્વીકાર કરતા અને જવાબદારી લઈને મેં રાહુલ ગાંધીને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિના મહાસચિવ પદ પરથી પોતાનું રાજીનામું સોંપી દીધું છે. સિંધિયાએ કહ્યું કે, આ જવાબદારી સોંપવા અને પાર્ટીની સેવા કરવાની તક આપવા માટે હું રાહુલ ગાંધીનો આભાર માનું છું. ઉત્તરપ્રદેશની ૮૦ લોકસભા બેઠકોમાં તેમને ૩૯ સીટોની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે બાકી ૪૧ સીટોની જવાબદારી પ્રિયંકા ગાંધી વાડ્રાને સોંપવામાં આવી હતી.