ઈઝરાયલ દ્વારા ગાઝાપટ્ટીમાં મધરાતે ભયંકર બોમ્બ વર્ષા કરતાં ૮૫થી વધુ પેલેસ્ટાઇનીઓના મોત નિપજ્યાં હતા. ઈઝરાયલની સેન દ્વારા હમાસનાં લશ્કરી થાણાઓ ઉપરાંત અનેક ઘરો ઉપર પણ બોમ્બ અને મિસાઇલ વર્ષા કરતાં સમગ્ર ગાઝા શહેર અને ગાઝાપટ્ટીના વિસ્તારો ખંડેર બની ગયા છે.
આ પૂર્વે ઈઝરાયલી સેનાએ પેલેસ્ટાઇનીઓને ઉત્તરમાં જતા મેઈન હાઈવેનો ઉપયોગ ન કરવા કડક ચેતવણી આપી હતી, અને કહ્યું હતું કે માત્ર દક્ષિણનો ‘કોસ્ટલ રોડ‘ (સમુદ્ર તટનો માર્ગ) તમો વાપરી શકશો.
ઉત્તરનો માર્ગ ભૂમધ્ય સમુદ્રના તટ પ્રદેશ પરથી પસાર થાય છે. તે વિસ્તાર અમેરિકા સહિત પશ્ચિમના દેશો માટે સિનાઈપેનિનસ્યુલામાં ઉતરવાનું ફૂટ બોર્ડ છે. તે હમાસનાં કબ્જામાં જાય તે ઈઝરાયલ કે અમેરિકા કે પશ્ચિમના દેશો ચલાવી લે જ નહીં. આ મામલે હમાસે મૂર્ખતા કરી ગત વર્ષે દક્ષિણ ઈઝરાયલમાં હુમલો કરી ૧૨૦૦ જેટલાની હત્યા કરી, ૨૫૦થી વધુને અપહૃત કર્યા. આથી ઈઝરાયલ ‘વૈરાંધ‘ બન્યું છે.
મધરાત્રે કરવામાં આવેલ હુમલા બાબતે ઈઝરાયલી સેનાએ કહ્યું હતું કે, ગઈકાલે બપોરે પેલેસ્ટાઇનીઓ (હમાસે)એ દક્ષિણ અને મધ્ય ઈઝરાયલમાં પ્રક્ષેપાસ્ત્રો ફેંક્યા હતાં. ચારે તરફ હવાઈ હુમલાની સાયરન્સ ગર્જી હતી. ત્યાર પછી વળતા પ્રહાર તરીકે ઈઝરાયલે ગુરૂ-શુક્રની મધરાતે ગાઝાપટ્ટીમાં પ્રચંડ બોમ્બ મિસાઇલ્સ વર્ષા કરતાં બાળકો અને મહિલાઓ સહિત ૮૫ના મોત થયા છે. આ સાથે ઈઝરાયલી સેનાએ જણાવ્યું છે કે તેની સેનાએ ગ્રાઉન્ડ ઓપરેશન દ્વારા બૈન-લાહીયા શહેરને ખતમ કરી નાખ્યું છે, સાથે ઉત્તરનો માર્ગ ન વાપરવા પેલેસ્ટાઇનીઓને ફરી ચેતવણી આપી છે અને છેલ્લા ૨૪ કલાકમાં અનેક પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. વાસ્તવમાં જાન્યુઆરીમાં યુદ્ધ વિરામ થયો ત્યારે હજ્જારો પેલેસ્ટાઇનીઓ તેમનાં નિવાસસ્થાનોએ પાછા ફર્યા હતા. જાેકે તે નિવાસસ્થાનો પણ ખંડેર સમાન બની રહ્યાં હતાં, છતાં પોતાનાં ઘરે પાછા ફરી ‘હાશ‘ અનુભવતા હતા. આ તરફ હમાસે જક્કી વલણ રાખી હજી કેટલાયે અપહૃતોને બંદીવાન રાખતાં ઈઝરાયલે પ્રચંડ હુમલા કર્યા હતા. પરિણામે ૨૪ જેટલા બંદીવાનો નાસી છૂટયા હતા.
ઈઝરાયલનું કહેવું છે કે, હમાસે શાંતિ દરખાસ્તો ફગાવી દીધી છે તેથી યુદ્ધ વિરામનો ભંગ કરવો પડયો છે. હમાસનું કહેવું છે કે, ઈઝરાયલે રજૂ કરેલી નવી દરખાસ્તો પૂર્વે કરાયેલા કરારોથી અલગ પડતાં અમે તેનો સ્વીકાર કર્યો નથી.