ઈરાને પાકિસ્તાનમાં જૈશ-અલ-અદલની છાવણીઓ પર એર સ્ટ્રાઇક કરી

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

ઈરાને પાકિસ્તાનમાં આતંકી છાવણીઓ પર એર સ્ટ્રાઇક કરવાનો દાવો કર્યો છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે મંગળવારે પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ-અલ-અદલની છાવણીઓ પર હુમલો કર્યો છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર ઈરાને હુમલાને અંજામ આપવા માટે મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. જાે કે, પાકિસ્તાને હજુ સુધી ઈરાન દ્વારા કરાયેલા હુમલાનો સ્વીકાર કર્યો નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાઓની નિંદા કરી અને કહ્યું કે બે માસૂમ બાળકોના મોત નિપજ્યા જ્યારે ત્રણ બાળકીઓ ઘાયલ થઈ છે. વધુમાં પાકિસ્તાને કહ્યું કે આ પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને આવા હુમલાના કારણે ગંભીર પરિણામો આવી શકે છે. ઈરાનના મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનમાં બલુચી જૂથ જૈશ અલ-અદલના બે ઠેકાણાઓને મિસાઈલથી નિશાન બનાવવામાં આવ્યા હતા. આ જૂથ અગાઉ પણ પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારમાં ઈરાની સુરક્ષા દળો પર હુમલો કરી ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર આ ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. સરકાર સંચાલિત ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે હુમલામાં મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જાેકે, પાકિસ્તાને તેનો સ્વીકાર કર્યો ન હતો. તમને જણાવી દઈએ કે જૈશ અલ-અદલ એક સુન્ની આતંકવાદી જૂથ છે. અગાઉ ડિસેમ્બર ૨૦૨૩માં ઈરાને પોલીસ સ્ટેશન પર ઉગ્રવાદી હુમલા માટે પાકિસ્તાનને ઠપકો આપ્યો હતો. ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના રાસ્કમાં પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૧ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. આ પછી ઈરાને પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે પાકિસ્તાનનું તેની સરહદો પર નિયંત્રણ નથી.

Share This Article