29 માર્ચથી ભાવનગર–નવી મુંબઈ વચ્ચે ઇન્ડિગોની દૈનિક બે સીધી ફ્લાઈટ્સ થશે શરૂ

Rudra
By Rudra 2 Min Read

ભારતની અગ્રણી એરલાઈન IndiGoએ ગુજરાતમાં પોતાનું નેટવર્ક વધુ મજબૂત બનાવતા 29 માર્ચ 2026થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દરરોજ બે વાર સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે.

25 ફેબ્રુઆરી, 2026ના રોજ કરવામાં આવેલી જાહેરાત અનુસાર, આ રૂટ પર દર અઠવાડિયે કુલ 14 સીધી ફ્લાઈટ્સ સંચાલિત થશે. આ નવી સેવા શરૂ થતાં ભાવનગર ઈન્ડિગોનું 97મું સ્થાનિક સ્ટેશન બન્યું છે, જ્યારે એરલાઈનનું કુલ નેટવર્ક 142 ગંતવ્ય સુધી વિસ્તર્યું છે.

આ ફ્લાઈટ્સ ઈન્ડિગોના ATR એરક્રાફ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવશે, જે ટૂંકા અંતરની મુસાફરી માટે અનુકૂળ અને વિશ્વસનીય ગણાય છે. મુસાફરો હવે [www.goIndiGo.in](http://www.goIndiGo.in) વેબસાઇટ, ઈન્ડિગો મોબાઇલ એપ તથા અધિકૃત ટ્રાવેલ પાર્ટનર્સ મારફતે ટિકિટ બુક કરી શકે છે.

ભાવનગર સૌરાષ્ટ્ર વિસ્તારનું મહત્વનું ઔદ્યોગિક અને વેપારી કેન્દ્ર છે. અહીં મેન્યુફેક્ચરિંગ, શિપ બ્રેકિંગ, મીઠાનું ઉત્પાદન, હીરા ઉદ્યોગ સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો છે. નવી મુંબઈ સાથેની સીધી હવાઈ કનેક્ટિવિટી વેપાર, રોકાણ અને પ્રવાસન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ મુસાફરોને દેશની નાણાકીય રાજધાની અને અન્ય શહેરો સાથે સરળ જોડાણ મળશે.

ઇન્ડિગોના ગ્લોબલ સેલ્સ હેડ વિનય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “અમારા વધતા સ્થાનિક નેટવર્કમાં ભાવનગરના ઉમેરા સાથે હવે ઈન્ડિગો ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર એમ પાંચ એરપોર્ટ પરથી ઉડાન ભરે છે. નવી મુંબઈ માટેની સેવા ઔદ્યોગિક રીતે મહત્વના આ શહેરને વધુ મજબૂત કનેક્ટિવિટી આપશે અને વેપાર તથા પ્રવાસન બંનેને પ્રોત્સાહન આપશે.”

તેમણે ઉમેર્યું કે, ઈન્ડિગો સતત પોતાનું નેટવર્ક વિસ્તારી રહી છે અને આવી નવી સેવાઓ હવાઈ મુસાફરીને વધુ સુલભ અને સસ્તી બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

 

Share This Article