ફાઈનલમાં હાર બાદ કિવીના કેપ્ટનનું રિએક્શન, પોતાની ટીમને લઈને કહી એવી વાત, જાણીને દરેક ભારતીયને ગર્વ થશે

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ: ન્યૂઝીલેન્ડને T20 World Cup 2026ની ફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયા સામે 96 રનથી કરારી હારનો સામનો કરવો પડ્યો. આ સાથે કિવી ટીમ પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપ જીતવાની તક ગુમાવી બેઠી. ટીમના કેપ્ટન મિચેલ સેન્ટનરે આ હાર છતાં પોતાની ટીમ પર ગર્વ વ્યક્ત કર્યો છે.

રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા ફાઈનલમાં ભારતે પહેલા બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવી 255 રન બનાવ્યા હતા. તેના જવાબમાં કિવી ટીમ 19 ઓવરમાં માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

ખિતાબ જીતવાની તક ગુમાવ્યા પછી કેપ્ટન મિચેલ સેન્ટનરે કહ્યું, “અહીં સુધી પહોંચવા માટે મને મારા ખેલાડીઓ પર ગર્વ છે. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો, પરંતુ દરેક તબક્કે અમે તેને પાર કરીને સારું પ્રદર્શન કર્યું. જોકે આજે રાત્રે અમે ખૂબ જ મજબૂત ટીમ સામે અને શાનદાર દર્શકોની હાજરીમાં હારી ગયા. તેમ છતાં મને ટીમ પર ગર્વ છે.”

ભારતમાં ન્યૂઝીલેન્ડ ટીમને મળતા સમર્થન અંગે સેન્ટનરે કહ્યું, “અમે જ્યાં પણ રમીએ ત્યાં સામાન્ય રીતે ખૂબ સારી ભીડ જોવા મળે છે. આજે મેદાનમાં નિલા રંગનો સમુદ્ર જોવા મળતો હતો. સ્પષ્ટ છે કે અમે હોમ ફેવરિટ નહોતા, પરંતુ ભારતને ઘરઆંગણે ખિતાબ જીતવાનો શ્રેય આપવો જોઈએ. અહીં જીતવું હંમેશા ભારે દબાણ સાથે આવે છે. મને લાગે છે કે સૂર્યકુમાર યાદવ અને તેમની ટીમને પોતાના પ્રદર્શન પર ગર્વ હોવું જોઈએ.”

જ્યારે સેન્ટનરને પૂછવામાં આવ્યું કે ટૂર્નામેન્ટમાં તેમની ટીમ માટે શું સારું રહ્યું, ત્યારે તેમણે કહ્યું, “મને લાગે છે કે અલગ-અલગ પ્રસંગોએ અલગ ખેલાડીઓએ જવાબદારી સંભાળી. દરેક તબક્કે અમને પડકારોનો સામનો કરવો પડ્યો, પરંતુ તેને પાર કરવું સકારાત્મક રહ્યું. સુપર-8 અને સેમિફાઈનલમાં અમે ખૂબ સારું પ્રદર્શન કર્યું. જોકે આજે અમને વધુ સારી ટીમે હરાવી, છતાં ખેલાડીઓએ પોતાના પ્રદર્શન પર ગર્વ હોવો જોઈએ.”

Share This Article