ભારત-ચીન કમાન્ડર સ્તરની બેઠકમાં બંને પક્ષોએ પશ્ચિમી ક્ષેત્રમાં શાંતિ બનાવી રાખવા માટે સહમતિ વ્યક્ત કરી

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ૯ ડિસેમ્બરે ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. બંને તરફથી કેટલાક સૈનિકોને આ ઘર્ષણમાં ઈજા પહોંચી હતી. બંને દેશો વચ્ચે સ્થિતિ ત્યારથી તણાવપૂર્ણ બનેલી છે. આ વચ્ચે લદ્દાખમાં પણ શાંતિ બનાવી રાખવા માટે ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક થઈ છે. આ હાઈ લેવલ મીટિંગમાં સેનાના સર્વોચ્ચ અધિકારી હાજર રહ્યાં હતા. 

વિદેશ મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું કે ભારત-ચીન કોર કમાન્ડર સ્તરની ૧૭મા રાઉન્ડની બેઠક ૨૦ ડિસેમ્બરે ચુશુલ મોલ્ડો માં આયોજીત કરવામાં આવી હતી. બંને પક્ષોએ પશ્ચિમી ક્ષેત્રમાં શાંતિ બનાવી રાખવા માટે સહમતિ વ્યક્ત કરી છે.  વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે બેઠકમાં ૧૭ જુલાઈએ થયેલી મીટિંગના ર્નિણયોની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં વેસ્ટર્ન સેક્ટરમાં બનેલી સહમતિને લઈને પણ વાત કરવામાં આવી. પ્રવક્તાએ જણાવ્યું- બંને પક્ષ પશ્ચિમી ક્ષેત્રમાં જમીન પર સુરક્ષા અને સ્થિરતા બનાવી રાખવા અને સૈન્ય તથા રાજદ્વારી ચેનલોના માધ્યમથી વાતચીત બનાવી રાખવા અને પરસ્પર રૂપથી સ્વીકૃત સંકલ્પ પર કામ કરવા પર સહમત થયા છે. 

ઉલ્લેખનીય છે કે અરૂણાચલ પ્રદેશમાં ચીન સરહદ પર તાજેતરના ઘર્ષણ બાદ ભારત સરકાર એક્શનમાં છે. કેન્દ્રીય રક્ષામંત્રીએ તવાંગમાં થયેલા હિંસક ઘર્ષણ માટે ચીની સૈનિકોને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે સંસદમાં કહ્યું હતું કે ચીની સૈનિકોએ ઘુષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો,  પરંતુ ભારતીય સૈનિકોએ ચીનને જોરદાર જવાબ આપ્યો. બીજીતરફ ચીન મુદ્દે વિપક્ષે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.

Share This Article