મહારાષ્ટ્રના રાયગઢમાં મધરાતે ગામડાના ૨૫થી વધુ ઘરો ભૂસ્ખલનની ઝપેટમાં, ૬ના મોત

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું અને આ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. ૨૫થી વધુ ઘર આ લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવ્યા છે. લગભગ ૧૦૦ લોકો ફસાયેલા હોવાની માહિતી સામે આવી છે. એવું કહેવાઈ રહ્યું છે કે ૧૫ લોકોને અત્યાર સુધીમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. પહાડી વિસ્તાર હોવાના કારણે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનમાં NDRF ને મુશ્કેલી પડી રહી છે. મહારાષ્ટ્રના રાયગઢમાં બુધવારે ખુબ ભારે વરસાદ પડ્યો અને રસ્તાઓ જાણે તળાવ બની ગયા. પાતાળગંગા નદી નજીકના આપટા ગામનો સંપર્ક તૂટી ચૂક્યો છે. અહીં રસ્તાઓ પર ચાર ફૂટથી વધુ પાણી ભરાયેલા છે. 

રાયગઢમાં ગણતરીના કલાકોમાં વરસાદ બાદ સ્થિતિ વણસેલી છે. રાયગઢ પાતાળગંગા નદી નજીક આપટા ગામની સ્થિતિ એવી છે કે તેનો અન્ય ગામ સાથે સંપર્ક તૂટી ગયો છે. ખેતરો, રસ્તા, ઘર, શાળા બધુ પાણીમા ડૂબાડૂબ છે. રસ્તાઓ પર કમર સુધી પાણી છે. જેના કારણે ગામવાળાઓએ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  આપટા ગામના કોલીવાડા વિસ્તારમાં આવેલા ગણપતિ મંદિર પાસે પાતાળગંગા નદી ઉછાળા મારી રહી છે. મંદિરનો કેટલોક ભાગ પણ પાણીમાં ડૂબેલો છે. જ્યારે બુધવારની બપોર સુધીમાં ગણપતિ ભગવાનની મૂર્તિ પૂરી રીતે જળમગ્ન થયેલી હતી. પાણીમાં ડૂબેલી ગણપતિની મૂર્તિ સામે સ્થાનિકોએ છાતી સમા પાણીમાં ઊભા રહીને આરતી કરી. એવું કહેવાય છે કે પૂરના પાણીનું સ્તર અહીં સતત વધી રહ્યું છે. જે એ વાતને જણાવી રહ્યું છે કે ગામવાળાઓને મુશ્કેલીઓ ઓછી થવાની નથી પરંતુ વધવાની છે. બીજી મુશ્કેલી એ પણ છે કે હવામાન વિભાગે રાયગઢ માટે રેડ એલર્ટ જાહેર કરતા આગામી ૨૪ કલાક ભારે વરસાદની આગાહી કરી છે. 

Share This Article