ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ૪૫ દિવસ સુધી ચાલેલા મહાકુંભનું ૨૬ ફેબ્રુઆરીએ સમાપન થયું છે. જાેકે, હજી પણ મેળામાં અમુક સટલો પર શ્રદ્ધાળુઓની ભીડ જાેવા મળે છે. લોકો સંગમ સ્નાન માટે આવી રહ્યા છે. તેમજ મેળામાં દુકાનો પણ લાગેલી છે. સરકારી આંકડાઓ અનુસાર, આ ૪૫ દિવસોમાં લગભગ ૬૬ કરોડ લોકોએ ગંગા અને યમુનાના સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. માત્ર મહાશિવરાત્રી પર જ લગભગ ૧.૩૨ કરોડ ભક્તોએ સાંજે ૪ વાગ્યા સુધી સ્નાન કર્યું હતું. મહા કુંભ મેળાના સમાપન પ્રસંગે, મેળા પ્રશાસન દ્વારા ૧૨૦ ક્વિન્ટલ ગુલાબની પાંખડીઓ વરસાવવામાં આવી હતી, આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ સનાતનીઓને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીએ ત્રિવેણી સંગમ ખાતે આ સફળ કાર્યક્રમનું આયોજન કરવા બદલ તમામ સંતો અને ભક્તોનો આભાર વ્યક્ત કર્યો છે. મહાશિવરાત્રિ પર મહાકુંભમાં સ્નાન કરવા માટે બે દિવસ પહેલાથી જ ભીડ એકઠી થવા લાગી હતી. લોકોએ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાથી જ સ્નાન કરવાનું શરૂ કરી દીધું હતું. મેળા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, સાંજે ૪ વાગ્યા સુધીમાં ૧.૩૨ કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું, જ્યારે ૨૦ લાખથી વધુ ભક્તો સ્નાન માટે આગળ વધતા જાેવા મળ્યા હતા. આ પ્રસંગે, રાબેતા મુજબ, મેળા વહીવટીતંત્રે તમામ ઘાટ પર ભક્તો પર ફૂલોની વર્ષા કરી હતી. રિપોર્ટ અનુસાર નેપાળ,ભૂટાન ઉપરાંત અમેરિકા, ઈંગ્લેન્ડ, જાપાન સહિત ૫૦થી વધુ દેશોના લોકો મહાકુંભમાં ડૂબકી મારવા આવ્યા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બંને નાયબ મુખ્યમંત્રી સાથે ગુરુવારે સવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને મહાકુંભના સમાપન પર અરૈલ ઘાટ પર સફાઈ કરી હતી. ત્યાર બાદ ગંગામાંથી કચરો બહાર કાઢ્યો હતો અને પછી ગંગાનું પૂજન પણ કર્યું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બંને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને કેશવ મોર્ય એ સફાઈ કર્મચારીઓ સાથે જમીન પર બેસીને ભોજન લીધું હતું.
પ્રયારાજ ખાતે મહાકુંભ મુદ્દે સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા યોગીએ કહ્યું હતું કે, ‘વિરોધી દૂરબીન અને માઇક્રોસ્કોપ લગાવીને બેઠા હતા. છતાં પણ તેમને એવું કાંઈ જ ન મળ્યું. દુષ્પ્રચારની કોઈ તક તેમણે નથી છોડી. યોગીએ મહાકુંભ સાથે જોડાયેલા સફાઈ કર્મચારીઓને ૧૦ હજારનું બોનસ આપવાની જાહેરાત પણ કરી છે. કહ્યું સફાઈ કર્મચારીઓને દર મહિને ૮થી ૧૧ હજાર રુપિયા પગાર મળે છે. જે એપ્રિલ મહિનાથી વધારીને ૧૬ હજાર કરવામાં આવશે.’
આ વખતે મહાકુંભમાં ૨૦ લાખથી વધુ લોકોએ કલ્પવાસ કર્યો હતો. આ તમામ કલ્પવાસીઓ પોષ પૂર્ણિમા પહેલા અહીં પહોંચી ગયા હતા અને તમામ નિયમો અને આચારનું પાલન કરીને મૌની અમાવસ્યા સુધી સંગમની રેતી પર રોકાયા હતા. આ સમય દરમિયાન લોકોએ તેમનો મોટાભાગનો સમય ભજન, કીર્તન અને ધ્યાન કરવામાં પસાર કર્યો હતો. મૌની અમાવસ્યા પર જ, તમામ રહેવાસીઓ પોતપોતાના ઘરે ગયા. તેમની સાથે ઋષિ-મુનિઓના તમામ ૧૩ અખાડાઓ પણ મૌની અમાવસ્યામાં સ્નાન કરીને અહીંથી નીકળ્યા હતા.