ઇમરાન મહેરબાન : હાફિજ  સંગઠનો ઉપરના પ્રતિબંધ દુર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઇસ્લામાબાદ: ત્રાસવાદીઓને લઇને પાકિસ્તાનની સાહનુભુતિ ફરી એકવાર વિશ્વની સામે આવી ગઇ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ત્રાસવાદી જાહેર અને મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ ગણાતા હાફિજ સઇદ પર પાકિસ્તાન સરકારે ફરી એકવાર મહેરબાની દર્શાવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ત્રાસવાદીઓ પ્રત્યે સાહનુભુતિ સપાટી પર આવી ગઇ છે. હાફિજના સંગઠન જમાત ઉદ દાવા અને ફલાહ એ ઇન્સાનિયતને પાકિસ્તાને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાંથી દુર કરી દીધા છે.

ધ્યાન આપવા જેવી બાબત એ છે કે રાષ્ટ્રપતિએ વટહુકમ જારી કરીને હાફિઝની સામે આ પગલા લીધા હતા પરંતુ હવે પાકિસ્તાનની નવી સરકારે તેને આગળ ન વધારી દેવાનો નિર્ણય કર્યો છે.ત્રાસવાદ પ્રત્યે હળવા વલણના કારણે પાકિસ્તાનની પ્રતિષ્ઠાને સતત ફટકો પડી રહ્યો છે. ત્રાસવાદીઓ પ્રત્યે ઉદાસીનતાના કારણે અમેરિકાએ પણ પાકિસ્તાનને આપવામાં આવતી સહાય રોકી દીધી છે. હવે ઇમરાન ખાનની સરકારને વધારે મુશ્કેલીનો સામનો આંતરરાષ્ટ્રીય મંચ પર કરવો પડી શકે છે.

ઇમરાન ખાન સરકાર પાસેથી ત્રાસવાદીઓ સામે કઠોર કાર્યવાહી માટેની આશા પર હવે પાણી ફરી વળ્યુ છે. ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાને ત્રાસવાદીઓ સામે કેટલાક કઠોર પગલા લીધા હતા. ત્યારબાદ વૈશ્વિક ત્રાસવાદી સંગઠનના લીડર હાફિજે આ નિર્ણયને કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. ભારત અને અમેરિકા સહિતના કેટલાક દેશોના દબાણ હેઠળ પાકિસ્તાને ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરી હતી. હવે ફરી તેમની સામે હળવુ વલણ નવી સરકાર અપનાવી રહી છે. જેના કારણે હવે ભારત સાથે સંબંધ સુધરવાની આશા દેખાતી નથી.

Share This Article