‘હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન કરો‘, ટ્રમ્પે એપલના CEO ટિમ કૂકને ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવા કહ્યું

Rudra
By Rudra 2 Min Read

હાલના સમયમાં ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં એપલના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલના ઉત્પાદનો બનાવો, તેઓ પોતે જ તેનું ધ્યાન રાખશે. આ સિવાય ટ્રમ્પે બીજો એક મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભારતે ઘણા યુએસ ઉત્પાદનો પર શૂન્ય ટેરિફ લાદવાની ઓફર કરી છે. એક અહેવાલ મુજબ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતે અમેરિકન માલ પર ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે કારણ કે ભારત આયાત કર પર કરાર ઇચ્છે છે.

કતાર ખાતે વ્યાપારી નેતાઓ જોડેના એક કાર્યક્રમમાં બોલતા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત સરકારે અમને એક સોદો ઓફર કર્યો છે જેના હેઠળ તેઓ મૂળભૂત રીતે અમારી પાસેથી કોઈ ટેરિફ વસૂલવા તૈયાર નથી. તેમણે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોમાં પ્રગતિનો સંકેત આપ્યો. એક દિવસ પહેલા મિશિગનમાં બોલતા ટ્રમ્પે કહ્યું હતું કે ભારત સાથે ટેરિફ વાટાઘાટો ખૂબ સારી રીતે ચાલી રહી છે અને ટૂંક સમયમાં સોદો પૂર્ણ થશે.

વધુમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, નવી દિલ્હીના ઊંચા ટેરિફ ભારતમાં અમેરિકન વ્યવસાયોને અવરોધે છે. તેમણે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં ઉત્પાદન ન કરવા કહ્યું. તેમનો સંકેત એપલના અમેરિકામાં થઈ રહેલા ઉત્પાદન તરફનો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક ટેરિફ અભિયાનનો ઉદ્દેશ્ય યુએસ વેપાર ખાધ ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાનો છે. આ ટેરિફને કારણે, ભારતીય નિકાસકારો, ખાસ કરીને દરિયાઈ ખોરાક અને ધાતુની નિકાસ, સૌથી વધુ પ્રભાવિત થઈ છે.

આ પહેલા અમેરિકા દ્વારા તા. 10 એપ્રિલથી 9 જુલાઈ સુધી 90 દિવસ માટે ભારતીય નિકાસ પર વધારાની ડ્યુટી પર રોક લાગવી હતી કારણ કે વેપાર વાટાઘાટોમાં બંને દેશો વચ્ચે કરાર થવાની આશા વધી હતી. ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલના રોજ લગભગ 60 દેશોની આયાત પર ટેરિફ લાદવાના ર્નિણયને પગલે આ ર્નિણય લેવામાં આવ્યો છે, જેમાં ઝીંગા અને સ્ટીલ જેવા ભારતીય માલ પર 26% ડ્યુટીનો સમાવેશ થાય છે.

Share This Article