ઈતિહાસ રચાયો : ભુજમાં 11 હજાર દીકરીઓએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું

Rudra
By Rudra 2 Min Read

આજની યુવાપેઢીના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિમાં ‘વીરતા પરમો ધર્મ અને એકતા પરમો ધર્મ’ના મંત્રને સામાજિક સ્તરે સકારાત્મક અને પ્રતિકારાત્મક માનસિકતાને ઉજાગર કરવાના ભાગરૂપે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદ અને પ્રેરણા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે કચ્છની ધન્ય ધરા પર ઐતિહાસિક રક્ષા-દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું હતું. ભુજમાં સ્વરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત 11 હજાર 800 દીકરીઓએ સ્વરક્ષાના સંકલ્પ લીધા છે. તો સાથે દીકરીઓમાં ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે નિષ્ઠા વધે તે ઉદ્દેશ્યથી સ્વદીક્ષા માટે શ્રીમદ્ ભગવત ગીતાના 12મા અધ્યાયનું પઠન કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. રક્ષા-દીક્ષા મહોત્સવમાં સમગ્ર કચ્છના 125 ગામડાઓમાંથી લગભગ 25 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં 11,800 દીકરીઓએ ભાગ લીધો. ભુજના રક્ષા-દિક્ષા મહોત્સવમાં 51થી વધુ દીકરીઓએ પ્રતિકાત્મક રીતે તલવારબાજી અને લાઠીદાવ કરી સ્વરક્ષા અભિયાન અંગે પર્ફોમન્સ આપ્યું હતું. મહત્વનું છે કે રક્ષા-દીક્ષા મહોત્સવમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કચ્છ જિલ્લા સંગઠનના 500થી વધુ સ્વયંસેવકો ભાઈઓ અને બહેનોની એક મહિનાની મહેનત રંગ લાવી છે.

અસામાજિક તત્વો સામે દીકરીઓએ મા દુર્ગાનું રુપ ધારણ કરવાનું છેઃ આર.પી.પટેલ

રક્ષા-દીક્ષા મહોત્સવ અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે દીકરીઓને સ્વરક્ષાની ટ્રેનિંગ આવીએ સમયની માગ છે. આ કાર્યક્રમ દીકરીઓમાં પ્રતિકાર કરવાની ભાવના પેદા કરવાનો છે. અસામાજિક તત્વો સામે દીકરીઓએ લક્ષ્મી નહીં પણ મા દુર્ગાનું રૂપ ધારણ કરવાની જરૂર છે. 11 હજાર દીકરીઓએ મા-બાપની ઈચ્છાથી લગ્ન કરવાના પણ સંકલ્પ લીધા છે.

‘વીરતા પરમો ધર્મ’ના ઉદ્દેશ્ય માટે રક્ષા-દિક્ષા મહોત્સવ અત્યંત સમયોજિત: મુખ્યમંત્રી

રક્ષા-દીક્ષા મહોત્સવ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દીકરીઓને સંબોધી એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે વીરતા પરમો ધર્મ અને એકતા પરમો ધર્મના મંત્રને ચરિતાર્થ કરવા સર્વ સમાજની દીકરીઓ માટે આયોજિત રક્ષા-દીક્ષા મહોત્સવ અત્યંત સમયોજિત છે. કેમ કે સમાજની સાચી શક્તિ ત્યારે જ પ્રગટે છે જ્યારે દરેક વર્ગ, દરેક જાતિ, દરેક પંથ, દરેક પરિવારમાં સ્ત્રીઓને સમાન અવસર મળે છે.

દીકરીઓ લીપસ્ટીક નહીં પર્સમાં ચપ્પુ રાખે: પૂજ્ય આત્માનંદ સરસ્વતી

રક્ષા-દીક્ષા મહોત્સવ અંગે વાત કરતા સંતસિરોમણી આત્માનંદ સરસ્વતી જણાવે છે કે દીકરીઓએ પર્સમાં લીપસ્ટીક નહીં ચપ્પુ રાખવાની જરૂર છે. આત્મરક્ષા માટે કંઈ પણ કરવું એ ગુનો નથી.

Share This Article