ઓસ્ટ્રેલિયામાં હિંદુ કાઉન્સિલની માંગણી – “શાંતિ ભંગ કરનારાઓના વિઝા રદ્દ કરવામાં આવે”

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ઓસ્ટ્રેલિયામાં ત્રણ મંદિરો પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ હિંદુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાએ માંગ કરી છે કે, શાંતિમાં ખલેલ પહોંચાડનારા ખાલિસ્તાની સમર્થકોના વિઝા રદ્દ કરવામાં આવે. કાઉન્સિલે ઓસ્ટ્રેલિયન સરકાર પાસે આવા બહારના લોકોના વિઝા રદ્દ કરીને તેમને પાછા મોકલવાની માગ કરી છે. હિંદુ કાઉન્સિલે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા એક શાંતિ-પ્રેમાળ બહુસાંસ્કૃતિક દેશ છે અને બાહ્ય શક્તિઓને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવા અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર હિંસા કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

હિંદુ કાઉન્સિલ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રકાશ મહેતાએ કહ્યુ હતુ કે, ‘તાજેતરના હુમલાઓને કારણે ભારતીય સમુદાયમાં ભયનું વાતાવરણ છે. આ મુદ્દો ભારતીય હાઈ કમિશન અને ઓસ્ટ્રેલિયાની સ્થાનિક સરકાર સાથે ઉઠાવવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ૨ અઠવાડિયામાં ત્રણ મંદિરો પર આવા હુમલા થયા છે. જ્યાં ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી અને હિંદુ વિરોધી સૂત્રો લખ્યા છે.’ હિંદુ કાઉન્સિલે કહ્યું કે, ‘તેઓ નિરાશ છે કે રાજ્ય સરકાર અને વિટોરિયા પોલીસે સક્રિય રીતે કાર્યવાહી કરી નથી. તેને કારણે ૨૯ જાન્યુઆરીએ ખાલિસ્તાન સમર્થકો દ્વારા ફેડરેશન સ્ક્વેર ખાતે ભારતીય રાષ્ટ્રધ્વજ ધરાવનારા ભારતીયો પર કમનસીબ હુમલો થયો હતો.’ હિંદુ કાઉન્સિલે આ ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને શીખ સમુદાય સહિત તમામ ધર્મોના નેતાઓને પણ આ ઘટનાઓને વખોડવા અપીલ કરી છે. કાઉન્સિલે માગણી કરી છે કે, વિક્ટોરિયા પોલીસ અને અન્ય સરકારી એજન્સીઓ દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને હિંદુ સમુદાય અને તેમના પૂજા સ્થાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

ઓસ્ટ્રેલિયામાં ભારતના હાઈ કમિશનર મનપ્રીત વોહરાએ તાજેતરમાં મેલબોર્નના શ્રી સ્વામિનારાયણ મંદિર, ઈસ્કોન કૃષ્ણ મંદિર અને શ્રી શિવ વિષ્ણુ મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. હાઈ કમિશનર મનપ્રીત વોહરાએ ભારતીય સમુદાયની ચિંતાઓ અંગે ચર્ચા કરી હતી. આ સાથે હાઈ કમિશનર વિક્ટોરિયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રૂને પણ મળ્યા હતા અને શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડતી ખાલિસ્તાની સમર્થકોની ગતિવિધિઓને કેવી રીતે અટકાવી શકાય તેની ચર્ચા કરી હતી. ભારતીય હાઈ કમિશને તાજેતરમાં જણાવ્યું હતું કે, ખાલિસ્તાની સમર્થકો જે આવર્તન અને મુક્તિ સાથે કામ કરી રહ્યા છે તે ચિંતાજનક છે. જેમાં ભારત વિરોધી આતંકવાદીઓની પ્રશંસા કરતી ગ્રેફિટીનો સમાવેશ થાય છે. હાઈ કમિશને કહ્યું કે, આ ઘટનાઓ શાંતિપૂર્ણ બહુ-શ્રદ્ધા અને બહુ-સાંસ્કૃતિક ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાય વચ્ચે નફરત અને વિભાજન પેદા કરવાનો સ્પષ્ટ પ્રયાસ છે. ભારતીય હાઈ કમિશને આશા વ્યક્ત કરી હતી કે, માત્ર ગુનેગારોને સજા આપવામાં આવશે તેવું નથી, પરંતુ તેમના વધુ પ્રયાસોને રોકવા માટે યોગ્ય પગલાં પણ લેવાશે.

Share This Article