તા.૦૭ થી તા.૦૯મી જુલાઇ દરમ્યાન અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જીલ્લામાં ભારે વરસાદ ૫ડવાની શક્યતા : સપ્તાહ દરમ્યાન રાજ્યભરમાં વરસાદ વરસશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને મંગળવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં IMDના અધિકારી શ્રી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસવાની સંભાવના છે. તા.૦૭ જુલાઈથી તા.૦૯મી જુલાઇ દરમ્યાન અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જીલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, રાજયમાં ૨૦૬ જળાશયો પૈકી ૨૩ જળાશય હાઈ એલર્ટ, ૧૫ એલર્ટ અને ૧૦ વોર્નિંગ પર છે. આ બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના અધિકારી દ્વારા સરદાર સરોવર ડેમની ૫રિસ્થિતિની માહિતી આ૫વામાં આવી હતી.

એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે તથા તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

આ બેઠકમાં GSDMA, CWC, કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઈસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, યુ.ડી.ડી., પશુપાલન, ICDS અને માહિતી વિભાગના નોડલ અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article