શહેરની વિવિધ પોળોમાં ૨૩ મકાનો સીલ કરાયા

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અમદાવાદ : દેશની પહેલી વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં વૈશ્વિક વારસો ધરાવતી ઈમારતોને નુકસાન પહોંચાડાઈ રહ્યું હોવાની ગંભીર હકીકત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓના ધ્યાન પર આવતાં અમ્યુકોના એસ્ટેટ વિભાગે આજે શહેરના મધ્ય ઝોનમાં વિવિધ પોળોમાં આવેલી ૨૩ જેટલી ઇમારતો-મકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. અમ્યુકોના એસ્ટેટ વિભાગના આ સપાટાના કારણે શહેરના કોટ વિસ્તારની હેરીટેજ મકાનો અને ઇમારતોના કબ્જેદારો અને રહીશોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓના નિર્દેશાનુસાર એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના વારસાને નુકસાન કરતા શહેરના મધ્ય ઝોનમાં સીલ કરવાની કાર્યવાહી કરાઈ હતી.

જેમાં દરીયાપુર, ખાડિયા, પતાસા પોળ, મામુ નાયકની પોળ સહિતની પોળના હેરીટેજ મકાનો-ઇમારતોમાં નવા બાંધકામોને સીલ કરી દેવાયા હતા. આ હેરીટેજ ઇમારતો હોવા છતાં અમ્યુકોની મંજૂરી વિના બાંધકામ સહિતની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હોવાનું ધ્યાન પર આવતાં અમ્યુકોના એસ્ટેટ વિભાગના અધિકારીઓ આ પોળોમાં ત્રાટકયા હતા અને સીલ મારવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. એસ્ટેટ વિભાગની ટીમે કોટ વિસ્તારની આવી ૨૩ મકાનો-ઇમારતોને સીલ મારી કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article