ગુજરાતમાં મારુતિ ઉત્પાદન ક્ષમતાને વધારી બમણી કરશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવી દિલ્હી ખાતે વન ટુ વન બેઠક શ્રૃંખલામાં મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેનિચી અયુકાવા સાથે ગુજરાતમાં મારુતિ મોટર્સના નવા પ્લાન્ટના કાર્યારંભ અંગે પરામર્શ કર્યો હતો. તેમણે ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે મારુતિ સુઝુકી આઇટીઆઇમાં નવા તાલીમ અભ્યાસક્રમો શરૂ કરવાનું છે તેની પણ ચર્ચા કરી હતી.

મારૂતિ સુઝુકી ગુજરાતમાં આવનારા સમયમાં તેના ત્રીજા તબક્કાના પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા બમણી એટલે કે ૭.૫ લાખથી વધારીને ૧૫ લાખ કારની કરશે તે અંગે તેમણે મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચાઓ કરી હતી. નવી દિલ્હી ખાતેની બેઠકોની શ્રૃંખલાઓ દરમિયાન મુખ્યસચિવ ડો. જેએન સિંઘ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે કૈલાસનાથન, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીના અગ્રસચિવ એમકે દાસ તેમજ ઉદ્યોગ, પ્રવાસન, ધોલેરા એસઆઈઆર વગેરેના વરિષ્ઠ સચિવો જોડાયા હતાં. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવી દિલ્હી ખાતે વન ટુ વન બેઠક દરમિયાન નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત માર્ટન વેન ડેન્ગ બર્ગે ગુજરાતમાં પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટ તેમજ દહેજ પીસીપીઆઇઆરમાં નેધરલેન્ડના ઉદ્યોગોના રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી હતી.

વિજય રૂપાણીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે આજે સવારથી જ નવી દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાજદૂતો સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો હતો. હાલ નેધરલેન્ડની અગ્રણી કંપની રોયલ વોપાકે દહેજમાં ૧૫૦૦ કરોડના રોકાણ સાથે જેટી નિર્માણના કરાર કર્યા છે અને તેના આધાર પર નેધરલેન્ડની અન્ય કંપનીઓને પણ ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કરવાની બાબતે પણ તેમણે વિચાર વિમર્શ કર્યો હતો. મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં નેધરલેન્ડનું હાઇપાવર ડેલિગેશન  સહભાગી થાય તે માટે આમંત્રણ પાઠવ્યું હતું. નેધરલેન્ડ આ વર્ષના વાયબ્રન્ટનું પાર્ટનર કન્ટ્રી છે તે સન્દર્ભમાં પણ વન ટુ વન બેઠકમાં વિચાર વિમર્શ થયો હતો. વિજય રૂપાણીએ ખાસ કરીને ગુજરાતમાં હાલ કાર્યરત નેધરલેન્ડના ઉદ્યોગકારોને મળી રહેલી સવલતો અને સરકારના પ્રોત્સાહન અંગેની ફળદાયી ચર્ચાઓ કરી હતી.

 

 

Share This Article