અમદાવાદ: ગુજરાત જાયન્ટ્સે વિમેન્સ પ્રીમિયર લીગ 2025 (WPL) માટે ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરને ટીમની કેપ્ટન તરીકે નિયુક્ત કરી છે. 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારી ગાર્ડનર ઓસ્ટ્રેલિયન ક્રિકેટની એક પ્રભાવશાળી ખેલાડી છે.
તેણે બે વખત બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ જીત્યા છે અને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાને ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 2023માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં એ “પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ” બની હતી.
ગુજરાત જાયન્ટ્સ સાથે ગાર્ડનર લીગની શરૂઆતથી જ જોડાયેલી છે. WPLની છેલ્લી બે સીઝનમાં તેણે 324 રન બનાવ્યા છે અને 17 વિકેટ ઝડપી છે.
“ગુજરાત જાયન્ટ્સનું કેપ્ટન બનવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. હું હંમેશા આ ટીમનો ભાગ બનવાનું માણ્યું છે અને હવે નેતૃત્વ કરવાની તક મળવી ગર્વની બાબત છે. અમારી ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓની સરસ સંમિશ્રિતતા છે, અને ઘણી ભારતીય પ્રતિભાઓનો સમાવેશ થાય છે. હું આ ઉલ્લેખનીય ગ્રૂપ સાથે કામ કરવા અને અમારા ચાહકો માટે ગૌરવ મેળવવા આતુર છું,” ગાર્ડનરે જણાવ્યું.
ટીમના મુખ્ય કોચ માઈકલ ક્લિન્ગરે ગાર્ડનરની ક્ષમતાઓ પર ભરોસો વ્યક્ત કર્યો. “એ ખૂબ જ ઉર્જાવાન અને નિષ્ઠાવાન ખેલાડી છે. તેના ગેમ સેન્સ, વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અને ટીમને પ્રેરિત કરવાની ક્ષમતા તેને ગુજરાત જાયન્ટ્સ માટે પરફેક્ટ કેપ્ટન બનાવે છે. અમને પૂરો વિશ્વાસ છે કે તે આગેવાની આપશે અને ટીમને સફળતા તરફ દોરી જશે,” તેમણે કહ્યું.
ગત સીઝનમાં ટીમની કેપ્ટન બેથ મૂની હતી. તેના વિશે ક્લિન્ગરે કહ્યું, “હું મૂનીનો આભાર માનું છું કે તેણે અમારું નેતૃત્વ કર્યું. હવે તે વિકેટકીપિંગ અને ઓપનિંગ બેટિંગ પર વધુ ધ્યાન આપી શકશે, અને અમારી ટીમ માટે એક મહત્વપૂર્ણ આગેવાન બની રહેશે.”
અદાણી સ્પોર્ટ્સલાઇનના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સંજય અદેસરાએ જણાવ્યું, “એશ્લે ગાર્ડનર એ ગુજરાત જાયન્ટ્સની ભાવનાને સંપૂર્ણ રીતે રજૂ કરે છે – સમર્પણ, કુશળતા અને નેતૃત્વથી ભરપૂર. અમારી પ્રતિબદ્ધતા છે કે અમે એક વિશ્વ-સ્તરની ટીમ બનાવીશું જે ટોચના સ્તરે પ્રદર્શન કરશે. અમને પૂરો વિશ્વાસ છે કે તેના કેપ્ટનશીપ હેઠળ, ટીમ WPLમાં શાનદાર દેખાવ કરશે.”