જીએસટીના ઉદ્દેશ્યો સતત કેમ બદલાયા : ચિદમ્બરમ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી :  ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે આજે જીએસટી વ્યવસ્થાના જાહેર કરવામાં આવેલા ઉદ્દેશ્યમાં વારંવાર ફેરફારને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. પૂર્વ નાણામંત્રીએ કહ્યું હતું કે, આમા વ્યાપક ફેરફારો યોગ્ય બાબત નથી. ચિદમ્બરમે ટવિટ કરીને કહ્યું છે કે, ગઇકાલ સુધી જીએસટીના સિંગલ સ્ટાન્ડર્ડ રેટને  સ્ટુપીડ આઈડિયા તરીકે ગણાવવામાં આવતા હતા પરંતુ હવે સરકારનો આ ઉદ્દેશ્ય છે તેવી વાત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની મુખ્ય માંગણી ૧૮ ટકાની મૂળભૂત માંગણી રહેલી છે.

પૂર્વ નાણામંત્રીએ એવા સમયે આ ટિપ્પણી કરી છે જ્યારે નાણામંત્રી અરુણ જેટલીએ સોમવારે જ એવો સંકેત આપ્યો હતો કે, દેશભરમાં જીએસટીમાં સિંગલ સ્ટાન્ડર્ડ રેટને લાગૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, ૨૮ ટકાના સ્લેબને ટૂંકમાં જ દૂર કરવામાં આવશે. આ સ્લેબમાં માત્ર લકઝરી ચીજવસ્તુઓને જ રાખવામાં આવશે. પોતાના ફેસબુક પોસ્ટમાં ચિદમ્બરમે કહ્યું છે કે, કેટલીક બાબતોને લઇને કોંગ્રેસ પાર્ટીની પહેલાથી જ માંગણીઓ રહી છે પરંતુ આ માંગણીઓ તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી.

છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણીમાં હાર ખાધા બાદ ભારતીય જનતા પાર્ટીએ જીએસટીમાં વધુ સુધારા કરવાના સંકેતો આપ્યા છે. ભાજપ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જીએસટીને લઇને લોકોની નારાજગી સાથે મેદાનમાં ઉતારવા માટે ઇચ્છુક નથી. આજ કારણસર જુદી જુદી રણનીતિ પર કામ ચાલી રહ્યું છે. જીએસટીને વધુને વધુ સરળ બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Share This Article