ઈસરો દ્વારા વિક્રમ સારાભાઈના નામે બનેલા રોકેટ દ્વારા આજે ઉપગ્રહ ‘જીસેટ-6 એ’ લોન્ચ થશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શ્રીહરિકોટા લોન્ચિંગ મથકેથી ઈસરો દ્વારા આજે ઉપગ્રહ ‘જીસેટ-૬એ’ લોન્ચ થવા જઈ રહ્યો છે. આજે  સાંજે ૧૬:૫૬ કલાકે સતિષ ધવન સ્પેસ સેન્ટરના બીજા નંબરના લોન્ચ પેડ પરથી ‘જીએસએલવી-એફ૦૮’માં સવાર થઈ ઉપ્રગ્રહ લોન્ચ થવાની શક્યતા છે. જીએસએલવી રોકેટમાં પ્રથમવાર સ્વદેશમાં બનેલું ક્રાયોજેનિક એન્જિન વપરાશે. આ  લોન્ચિંગ માટે ૨૭ કલાકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે.

આ એન્જિનને ઈસરોએ દુરદૃષ્ટા વિજ્ઞાની ડો.વિક્રમ સારાભાઈના નામે ‘વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ) નામ આપ્યું છે.’  જોકે એન્જિનનું ટેકનિકલ નામ તો ‘હાઈ ટ્રસ્ટ ક્રાયોજેનિક એન્જિન (એચટીસીઈ)’ છે. પરંતુ ઈસરોના વિજ્ઞાની નામ્બી નારાયણ પાસે જ્યારે આ એન્જિન બનાવવાની ચેલેન્જ આવી ત્યારે જ તેમણે ૧૯૭૩માં તેને વિક્રમ અંબાલાલ સારાભાઈ નામ આપી દીધું હતુ.

હવે ભારત ક્રાયોજેનિક એન્જિન બનાવી શક્યો હોય એવો અમેરિકા, રશિયા, ફ્રાંસ, જાપાન અને ચીન પછી છઠ્ઠો દેશ છે. ૨૭૦ કરોડનો ઉપગ્રહ, ૧૦ વર્ષ કામ આપશે આજે લોન્ચ થનારો ઉપગ્રહ જીસેટ-૬એ કમ્યુનિકેશન સેટેલાઈટ છે. ઉપગ્રહનું વજન ૨ ટન છે, તેને તૈયાર કરવામાં અંદાજે ૨૭૦ કરોડ રૃપિયાનો ખર્ચ થયો છે, જ્યારે એ દસ વર્ષ સુધી કાર્યરત રહેશે. જીઓસિન્ક્રોનસ એટલે કે ભુસ્થિર પ્રકારનો હોવાથી આ ઉપગ્રહ ૩૫,૯૭૫ કિલોમીટરની ઊંચાઈ રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરશે.

Share This Article