નવીદિલ્હી : સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને લોકસભા સાંસદ મુલાયમસિંહ યાદવે આજે લોકસભામાં કહ્યું હતું કે, તેમની એવી કામના છે કે, નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બને. મુલાયમે પોતાની પાર્ટી અને વિપક્ષની તરફ ઇશારો કરતા કહ્યું હતું કે, અમે લોકો આટલી બહુમતિ લાવવાની સ્થિતિમાં નથી. આવી સ્થિતિમાં મોદી ફરીથી દેશના વડાપ્રધાન બને તેવી કામના છે.
મુલાયમે કહ્યું હતું કે, મોદીએ તમામની સાથે મળીને કામ કર્યું છે. મુલાયમે તમામ સભ્યોને શુભેચ્છા પણ પાઠવી હતી. મુલાયમ જ્યારે નિવેદન કરી રહ્યા હતા ત્યારે મોદીએ હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો હતો. મુલાયમસિંહ યાદવના નિવેદન ઉપર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ આની સાથે અસહમત છે પરંતુ મુલાયમસિંહ યાદવ રાજનીતિમાં ખુબ સિનિયર છે અને તેઓ તેમની બાબતનું સન્માન કરે છે.