કિંશાસા : કોંગોની રાજધાની કિંશાસામાં છેલ્લા 4 દિવસમાં વરસેલા અતિભારે વરસાદ બાદ ભયાનક પૂર આવ્યું હતું જેમાં 22 લોકોનાં મોત થયા છે અને શહેરના અડધાથી વધારે ભાગો અને દેશના મુખ્ય એરપોર્ટ સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. પ્રાંતીય આરોગ્ય પ્રધાન પૈટ્રિશિયન એનગેંગોએ જણાવ્યું હતું કે શુક્રવારના પૂરમાં મોટા ભાગનાં મોત દીવાલ તૂટી પડવાને કારણે થયા છે. કિંશાસાના ગવર્નર ડેનિયલ બુમ્બાએ જણાવ્યું હતું કે પૂરને કારણે એરપોર્ટ સુધી જનારી મુખ્ય સડક ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. જો કે હળવા વાહનોની અવરજવર માટે આ સડકને ફરીથી ખોલી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ સડકને 72 કલાકની અંદર તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે ખોલી દેવામાં આવશે. આ સડક કિંશાસાને કોંગોના બાકી ભાગો સાથે જોડે છે.
આ આપત્તિના કારણે અધિકારીઓને વેપાર પર પડનાર અસરની ચિંતા છે. ટ્રક ચાલક બ્લેઝ એનડેન્ડોએ જણાવ્યું હતું કે અમે રાતથી અહીંયા છીએ પણ અમે આગળ વધી રહ્યાં નથી કારણકે અમને જણાવવામાં આવ્યું છે કે સડક તૂટીને બે ભાગમાં વિભાજિત થઇ ગઇ છે.