આપણે બાળપણથી શીખતા આવ્યા છીએ કે વીજળી માટે તાર અથવા કેબલ જરૂરી હોય છે. તાર દ્વારા જ વીજળી એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચે છે અને બલ્બ, પંખા, ટીવી, ફ્રિજ જેવા ઉપકરણો ચાલે છે. હાલના સમયમાં વાયરલેસ મોબાઇલ ચાર્જિંગ જેવી ટેકનોલોજી જોવા મળી છે, પરંતુ શું એવું શક્ય છે કે તાર વગર પણ વીજળી પહોંચાડી શકાય? એટલે કે હવામાંથી વીજળી મોકલી શકાય? સાંભળવામાં આ અજીબ લાગે, પરંતુ હવે આ શક્ય બનતું દેખાઈ રહ્યું છે.
દુનિયાના સૌથી ખુશહાલ દેશોમાં ગણાતા ફિનલૅન્ડના વૈજ્ઞાનિકોએ આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ભવિષ્યમાં આવી ટેકનોલોજી ભારત સહિત અન્ય દેશોમાં પણ જોવા મળી શકે છે. જો એવું બનશે તો ઘરમાં પરંપરાગત મીટર અને કેબલની જરૂરિયાત ઘણી ઓછી થઈ શકે છે.
હવામાંથી વીજળી મોકલવાનો પ્રયોગ
ફિનલૅન્ડના વૈજ્ઞાનિકોએ તાર વગર હવામાંથી વીજળી મોકલવાનો સફળ પ્રયોગ કર્યો છે. હેલસિંકી યુનિવર્સિટીના જણાવ્યા મુજબ આ પ્રયોગમાં હાઈ-ઇન્ટેન્સિટી સાઉન્ડ વેવ્સ (ધ્વનિતરંગો) અને લેસર ટેકનોલોજીનો સંયોજન કરવામાં આવ્યો હતો. તેમાં અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ્સ, લેસર અને રેડિયો ફ્રીક્વન્સી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો.
આ સંશોધન હેલસિંકી યુનિવર્સિટી અને ઔલુ યુનિવર્સિટીની ટીમે મળીને કર્યું છે. સંશોધકોએ ખાનગી કંપનીઓ સાથે મળીને “પાવર-બાય-લાઇટ” અને “રેડિયો-ફ્રીક્વન્સી હાર્વેસ્ટિંગ” જેવી ટેકનોલોજી પર કામ કર્યું છે. આ પ્રયોગ ભૌતિકશાસ્ત્ર અને એન્જિનિયરિંગનું અનોખું સંયોજન ગણાય છે.
હવામાં કેવી રીતે બને છે અદૃશ્ય માર્ગ?
આ ટેકનોલોજી ‘એક્યુસ્ટિક વાયર’ પર આધારિત છે. તેમાં હાઈ-ઇન્ટેન્સિટી અલ્ટ્રાસોનિક ધ્વનિતરંગોનો ઉપયોગ કરીને હવામાં અદૃશ્ય માર્ગ બનાવવામાં આવે છે, જે તાર જેવી કામગીરી કરે છે. આ માર્ગ પર વીજળીની નાની ચિંગારીઓ ભૌતિક સંપર્ક વગર સુરક્ષિત રીતે આગળ વધી શકે છે.
લેસર દૂર સ્થિત રિસીવર સુધી ઊર્જા પહોંચાડે છે, જ્યારે રેડિયો-ફ્રીક્વન્સી હાર્વેસ્ટિંગ આસપાસની તરંગોને વીજળીમાં ફેરવે છે. અલ્ટ્રાસોનિક તરંગો હવાના ઘનત્વમાં ફેરફાર કરીને વીજળી માટે ચોક્કસ માર્ગ તૈયાર કરે છે. લેસર પ્રકાશને ખૂબ ઓછી માત્રામાં વીજળીમાં રૂપાંતરિત કરીને તેને સુરક્ષિત રીતે મોકલી શકે છે.
આ તમામ ટેકનોલોજી મળીને હવામાંથી વીજળી સુરક્ષિત રીતે પહોંચાડવાનું શક્ય બનાવે છે. મોબાઇલ ફોન માટે વાયરલેસ ચાર્જિંગ પહેલાથી જ ઉપલબ્ધ છે, પરંતુ ફિનલૅન્ડના વૈજ્ઞાનિકોએ હવામાંથી સીધી વીજળી મોકલવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
