હવે કર્ણાટક કેબિનેટનું ટૂંકમાં વિસ્તરણ કરવાની હિલચાલ

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

બેંગ્લોર:  કોંગ્રેસના નારાજ ધારાસભ્યોને મનાવવાના પ્રયાસ યુદ્ધનાધોરણે ચાલી રહ્યા છે. જેડીએસ-કોંગ્રેસ સરકારે હવે કેબિનેટ વિસ્તરણ માટેની તૈયારી કરી લીધી છે. ૧૧મી ઓગસ્ટના દિવસે પુરા થઇ રહેલા ગાળા બાદ કેબિનેટના વિસ્તરણ કરવામાં આવનાર છે.

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, ઘણા સમયથી કુમારસ્વામી સરકારમાં ચાલી રહેલી ખેંચતાણનો અંત લાવવામાં આવશે. એચડી કુમારસ્વામીને ૧૦ સપ્તાહ જુની સરકારને ગબડાવવાના પ્રયાસ થઇ રહ્યા છે તેવા અહેવાલ હાલમાં આવી રહ્યા છે. ૮-૧૦થી નારાજ કોંગ્રેસના ધારાસભ્યો ગઠબંધન સરકારને ગબડાવી દેવા ભાજપ સાથે હાથ મિલાવવા તૈયારીમાં છે તેવા અહેવાલ હાલમાં જ આવ્યા હતા. આવી સ્થિતિમાં કેબિનેટ વિસ્તરણની તૈયારી હાથ ધરવામાં આવી છે. તેમના કોંગ્રેસ ધારાસભ્યોને મનાવવાના પ્રયાસ પણ આ રીતે કરવામાં આવનાર છે. ભાજપનું સંખ્યાબળ હાલમાં બહુમતિના આંકડાથી ઓછું છે. આવી સ્થિતિમાં બહુમતિ સુધી પહોંચવાના અંતિમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારની રચના કરવા માટે ભાજપ માટે માર્ગ મોકળો કરવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે.

કોંગ્રેસ સુત્રોએ એવા અહેવાલને રદિયો આપ્યો છે કે, હાઈકમાન્ડ ઉપર દબાણ આવ્યા બાદ આ હિલચાલ હાથ ધરવામાં આવી છે. કુમારસ્વામી સરકારમાં નારાજ સભ્યોને સામેલ કરવા માટેની કવાયત હવે શરૂ થઇ ચુકી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું કહેવું છે કે, નંબર ગેમની લડાઈ હવે દેખાઈ રહી નથી.

બીજી બાજુ ભાજપના રાજ્ય એકમના વડા બીએસ યેદીયુરપ્પા મંગળવારના દિવસે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને મળ્યા હતા. નવી દિલ્હીમાં આ બેઠક  યોજાઈ હતી જેમાં ગઠબંધન સરકારને ગબડાવી દેવાના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા થઇ હતી.

ભાજપ સુત્રોનું કહેવું છે કે, અમિત શાહ અને રામલાલે ઉતાવળમાં કોઇ પગલા નલેવા યેદીયુરપ્પાને હાલમાં કહ્યું છે. પાર્ટી સુત્રોનું કહેવું છે કે, યેદીયુરપ્પાને ૨૦૧૯ની લોકસબાની ચૂંટણી માટે તૈયારી પર ધ્યાન આપવા કહેવામાં આવ્યું છે. બીજી બાજુ કેપીસીસીના વડા દિનેશનું કહેવું છે કે, નાણા અને અન્ય લાલચ આપીને કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની તરફેણમાં કરવા માટે ભાજપના પ્રયાસો ચાલી રહ્યા છે. સરકારને ઉથલાવી દેવા માટે ભાજપ તરફથી બનતા તમામ પ્રયાસ થઇ રહ્યા છે. કુમારસ્વામી પણ આના માટે તૈયારી કરી ચુક્યા છે.

પાર્ટી સુત્રોનું કહેવું છે કે, મ્યુનિસિપલ વહીવટીતંત્રમાં પણ ફેરફારને લઇને ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસના નારાજ ધારાસભ્યો રાજીનામુ આપે તો ભાજપ માટે સ્થિતિ સરળ બની શકે છે. ભાજપને સરકારને ગબડાવી દેવા ૧૫ ધારાસભ્યોની જરૂર છે.

Share This Article