મહાચૂંટણી કે મહાભારત

News KhabarPatri
By News KhabarPatri 4 Min Read

ચોકીદાર ચોર હે અને મે ભી ચોકીદાર , લાગે છે કે દેશની રાજનીતિ આ છ અક્ષરોમાં મર્યાિદત થઇ ગઇ છે. નરેન્દ્ર મોદી સહિત ભાજપ અને એનડીએના નેતાઓ જ્યાં રેલીઓ કરીને મોટા ભાગનો સમય પોતાને દેશના સફળ ચોકીદાર તરીકે ગણાવી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહિત મોટા ભાગના વિપક્ષી નેતાઓ એનડીએ સરકાર ભ્રષ્ટાચારી હોવાનો દાવો કરી રહ્યા છે. આ લોકો ચોકીદાર ચોર હેના નારા લગાવી રહ્યા છે.ચોર સાહુકારની આ લડાઇના કારણે અન્ય તમામ મુદ્દા ગૌણ બની ગયા છે.

આ વખતે સામાન્ય ચૂંટણીમાં જે રીતે મુદ્દાઓ બદલી દેવામાં આવી રહ્યા છે તે પ્રકારની સ્થિતી પહેલા ક્યારેય જાવા મળી ન હતી. રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર, અંબાણી અદાણીને લાભ પહોંચાડી દેવાના મુદ્દા જ્યારે ગરમી પકડી રહ્યા હતા ત્યારે જ ભાજપે રાષ્ટ્રીય સુરક્ષાને હથિયાર તરીકે બનાવીને હવે મુશ્કેલી ઉભી કોંગ્રેસ માટે કરી દીધી છે. પુલવામા હુમલા બાદ ભારતીય હવાઇ દળ દ્વારા કરવામાં આવેલા હવાઇ સર્જિકલ હુમલાના કારણે ભારતીય જનતા પાર્ટી જારદાર રીતે મેદાનમાં આવી ગઇ છે. જેના કારણે દેશમાં માહોલ બદલાઇ ગયો છે. કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તેમની પાસે કોઇ મુદ્દા રહ્યા નથી. વિપક્ષે ફરી તીર ચલાવ્યા કે હુમલાને લઇને પુરવા આપવામા આવે. સાથે સાથે દેશના લોકોને કહેવામાં આવે સર્જિકલ સ્ટ્રાઇકમાં કેટલા ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સરકારે પણ સંરક્ષણ પ્રધાન અને તમામ સંરક્ષણ નિષ્ણાંતોને મેદાનમાં ઉતારી દીધા હતા. જનતાના દિલો દિમાગ પર આ વાત બેસાડી દેવામાં આવી કે કાર્યવાહી જારદાર રીતે કરવામાં આવી હતી. કેટલા ત્રાસવાદીઓ માર્યા ગયા હતા તેની ગણતરી કરવાનુ કામ પાકિસ્તાનનુ રહેલુ છે. સેના બોંબ ઝીંકે છે લાશો ગણતી નથી.

ભાજપે એક રીતે કોંગ્રેસને આ મુદ્દા પર પીછેહટ કરવાની ફરજ પાડી દીધી છે. આનો તોડ રાહુલ ગાંધી લઇને આવ્યા હતા. રાહુલે કહ્યુ હતુ કે જા તેમની સરકાર આવશે તો ગરીબોના ખાતામાં ૭૨૦૦૦ રૂપિયા ઉમેરી દેવામાં આવનાર છે. જનતા પર આ અચુક હથિયારની અસર દેખાવવા લાગી હતી કે નવા સમાચાર આવ્યા કે વડાપ્રધાન દેશના નામ સંબોધન કરનાર છે અને મોટી માહિતી આપનાર છે. ચારેબાજુ અટળો ચાલુ થઇ ગઇ હતી કે મોદી ફરી શુ કહેશે. નોટબંધી અને જીએસટીથી પરેશાન લોકોમાં ચિંતા ફેલાઇ ગઇ હતી. મોદી રાષ્ટ્ર સમક્ષ ઉપસ્થિત થયા અને અંતરિક્ષમાં ભારતને મહાશક્તિ બનાવવા માટેની જાહેરાત કરી દીધી હતી.

વિપક્ષના વદુ એક હથિયારને નિષ્ફળ કરવામાં આવ્યો હતો. એવા આક્ષેપ કરવામાં આવ્યા કે ઇસરોની સફળતાને લઇને રાજકીય લાભ લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોઇ પણ બાબત હોય પરંતુ મોદી ન્યાય યોજનાથી દેશના લોકોનુ ધ્યાન અન્યત્ર દોરવામાં સફળ રહ્યા હતા. એકંદરે આ વખતની ચૂંટણી મહાભારતની યાદ અપાવે છે. જેમાં બંને સેનાના મહારથી એક બીજા પર એકથી એક ભારે હથિયારો ચલાવી રહ્યા હતા. પ્રતિપક્ષ જવાબી કાર્યવાહીમાં તેમના હથિયારોને નષ્ટ કરી રહ્યા હતા. મતદારો આજે આ મહાભારતની લડાઇને નિહાળી રહ્યા છે. મતદારો નારાજ છે. કારણ કે તેમના હિતોની વાત કોઇ કરી રહ્યા નથી. સત્તાના સોદાગર દરેક સીટ પર બોલી લગાવી રહ્યા છે. જાદુઇ સંખ્યા હાંસલ કરવાની સ્પર્ધા ચાલી રહી છે. જીતના જંગમાં ખેડુતો, વીજળી, પાણી અને અન્ય સમસ્યાપ્રવર્તી રહી છે. દેશમા સત્તા કોણ હાંસલ કરશે તે અંગે ૨૩મી મેના દિવસે માહિતી મળી જશે.

Share This Article