શૈક્ષણિક સંસ્થાઓમાં સતત વધારો થયોઃ નીતિન પટેલ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ગ્રામ સેવા મંદિર દ્વારા ત્રિદિવસીય નારદીપુર સ્વપ્નદર્શી પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વના અંતિમ દિવસે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના અધ્યક્ષ સ્થાને સંસ્થાના ભૂતપૂર્વ વિધાર્થીઓ અને શિક્ષકોનું સંમેલન યોજાયું હતું.

રાજયના નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, થોડાક દાયકાઓ અગાઉ ઉત્તર ગુજરાતમાં આંગણીના વેઢે ગણી શકાય તેટલી શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત હતી. જેમાની એક સંસ્થા તરીકે ગ્રામ સેવા મંદિર હતી. ટેકનોલોજીના યુગમાં શિક્ષણની માંગ બદલાઇ રહી છે. તેવા સમયે જ આ સંસ્થામાં વિવિધ અભ્યાસ ક્રમો અને શિક્ષણની માંગ અનુસાર શિક્ષણ આપવા માટે નારદીપુર ગામના લોકો આગળ આવ્યા છે, તે વાત પ્રસંશનીય છે. સંકલન, સંપર્ક અને ગામના વિકાસ માટે ગ્રામજનોને સતત જાગતા રહેવા અને ગામને સ્વચ્છ રાખવાની પણ અપીલ કરી હતી.

આજના સમયમાં સમગ્ર વિશ્વએ રોજગારીનું કાર્યક્ષેત્ર બની ગયું છે. તેમજ બહુચરાજી નજીક મારૂતિ-સુઝીકી અને હોન્ડા જેવી કંપનનીઓના પ્લાન્ટના હિસાબે રોજગારની તકો કેવી ઉભી થઇ છે, તેની પણ દષ્ટાંત પુર્વક વાત કરી હતી. શૈક્ષણિક સંસ્થાઓ ચારિત્ર્ય અને જીવન ધડતર કરવાનું ઉમદા કામ કરી રહી છે, તેવું કહી કડી સર્વ વિશ્વ વિધાલયના ચેરમેન વલ્લભ માણેકલાલ પટેલ ( સરદાર)એ જણાવ્યું હતું કે વિશ્વમાં કોઇ એવું મંદિર નથી કે જે શિક્ષણની ગરજ સારી શકે  છે. શિક્ષણ થકી જ સમાજમાંથી કુરિવાજો દૂર કરી શકાય છે. તેમજ સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. કડી સર્વ વિશ્વ વિધાલયને આગામી વર્ષ – ૨૦૨૦માં ૧૦૦ વર્ષ પુર્ણ થશે. આજે ૫૨ હજારથી વધુ બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય અમારી સંસ્થા કરે છે, તેવું ઉમદા કાર્ય ગ્રામ સેવા મંદિર કરે તેવી શુભકામાનાઓ પણ પાઠવી હતી.

એક રૂમમાં સૂતેલા બે વ્યક્તિને એક જ સરખા સ્વપ્ન આવતાં નથી, તેવું જણાવી કવિ, સાહિત્યકાર અને સનદી અધિકારી ભાગ્યેશ જહાએ પોતે નારદીપુર ગામમાં જન્મ થવાનો ગૌરવ વ્યક્ત કરીને બાલ્યવસ્થાના સ્મરણો યાદ કર્યા હતા. તેમણે સંસ્કૃત ભાષાને દાદી, હિન્દી ભાષાને માસી, ગુજરાતી ભાષાને મા સમાન કહી અંગ્રેજી ભાષા મારી પાસે રહેતી એક રૂપાળી સ્ત્રી ગણાવીને માતૃભાષાનું મહત્વ કેટલું છે, તેની દષ્ટાંત પૂર્વકની વાત પોતાની શૈલીમાં રજૂ કરી હતી. દુનિયાની કોઇ પણ વ્યક્તિ સાથે વાત કરી શકીએ તેટલી ભાષાની જાણકારી હોવાની વાત પર પણ તેમણે ભાર મુક્યો હતો. જાગતા જોવાયેલા સ્વપ્ન હમેંશા સાર્થક થાય છે, તેવો ર્દઢ વિશ્વાસ વ્યક્ત કરીને સ્વપ્નદર્શી પર્વ યોજવા પાછળનો ઉમદા આશય અવશ્ય સત્ય બનશે, તેવો પણ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Share This Article