ઈન્ડોનેશિયામાં આવેલા ભયાનક ભૂકંપને કારણે ૧૬૨ લોકોના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ જાવામાં સોમવારે આવેલા ભયાનક ભૂકંપને કારણે ૧૬૨ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. લાપતા થયેલા લોકોની સંખ્યા પણ મોટી છે. ભૂકંપ બાદ તબાહીની સ્થિતિ જોઈને સ્થાનિક લોકો ડરી ગયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૪ હતી. ભૂકંપને કારણે અનેક બિલ્ડિંગોને નુકસાન પહોંચ્યું છે અને લોકોએ પોતાનો જીવ બચાવવા સુરક્ષિત સ્થળનો સહારો લેવો પડ્યો હતો.

ઈન્ડોનેશિયાની હવામાન તથા જળવાયુ વિજ્ઞાન અને જીઓફિઝિકલ એજન્સી પ્રમાણે, ભૂકંપ આવ્યા બાદ વધુ ૨૫ ઝટકા નોંધાયા છે. આ દરમિયાન લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપને કારણે દર્દીઓને ડોક્ટરોએ હોસ્પિટલની બહાર કાઢી મુક્યા હતા. હોસ્પિટલોમાંથી દર્દીઓને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ ડોક્ટરોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ દરમિયાન ગંભીર દર્દીઓની સારવાર પર અસર પડી હતી. ભૂકંપને કારણે કલાકો સુધી લાઇટ જતી રહી હતી. ડરેલા લોકોમાં બેચેની હતી કારણ કે લાઇટને કારણે ટીવી બંધ હતું અને તેને કોઈ યોગ્ય માહિતી મળી નહીં.

ઈન્ડોનેશિયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે હજુ પણ ૨૫ લોકો કાટમાળમાં ફસાયા છે, રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. અમારો પ્રયાદ દરેકને સુરક્ષિત બહાર કાઢવાનો છે. એજન્સીએ જણાવ્યું કે મૃત્યુ પામનારની સંખ્યા વધીને ૧૬૨ થઈ ગઈ છે. ૨૦૦૦થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે. સાથે ૫ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મીડિયા સાથે વાત કરતા પશ્ચિમ જાવાના ગવર્નર રિદવાન કામિલે જણાવ્યું કે લોકોમાં ડર છે, તે રડી રહ્યાં છે. સ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે અને તંત્ર કામ કરી રહ્યું છે. ભારે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ દબાઈ ગયા છે, તેને બુલડોઝરની મદદથી ખોલવામાં આવી રહ્યાં છે. આ શહેર પહાડી વિસ્તારમાં હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં થોડી મુશ્કેલી પડી રહી છે. સ્થિતિ એવી છે કે અહીં લોકો રડતા રડતા પોતાના પરિવારજનોને શોધી રહ્યાં છે. મૃતદેહનો ઢગલો જોવા મળી રહ્યો છે, તેમાં લોકો પોતાના પરિવારજનોને શોધી રહ્યાં છે. કામિલે જણાવ્યું કે ઘટનાસ્થળ પર ઘણા લોકો ફસાયેલા છે. સમયની સાથે મૃત્યુઆંક વધી શકે છે.

Share This Article