ડો. અરવિંદ શર્માની સોસાયટી ઓફ ન્યૂરોસોનોલોજીના પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરાઈ

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ: વૈશ્વિક સ્તરે પ્રખ્યાત અમદાવાદના ન્યૂરોલોજિસ્ટ અને સ્ટ્રોક એક્સપર્ટ ડો. અરવિંદ શર્માની સોસાયટી ઓફ ન્યૂરોસોનોલોજીના પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોચી ખાતે 21થી 22 ડિસેમ્બરના રોજ આયોજિત ઓર્ગેનાઈઝેશનની 8 મી વાર્ષિક કોન્ફરન્સમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ કોન્ફરન્સે વિશ્વભરમાંથી ન્યૂરોસોનોલોજીમાં નિપુણ દિગ્ગજોને એકમંચ પર એકઠા કર્યા હતા.

સ્ટ્રોક કેર અને ન્યૂરોસોનોલોજીમાં ડો. શર્માના વ્યાપક યોગદાનને બિરદાવતાં આ નિમણૂક કરવામાં આવી છે. આ ક્ષેત્રમાં અગ્રણી ડો. શર્મા ડાયગ્નોસ્ટિક અને થેરાપ્યુટિક પ્રેક્ટિસને વેગ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, વિશ્વભરમાં દર્દીઓની શ્રેષ્ઠ સારવાર કરતાં પરિણામોમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

આ નવી નિમણૂક સાથે ડો. શર્મા ઈન્ડિયન સ્ટ્રોક એસોસિએશન (આઈએસએ)ના સેક્રેટરી, વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઈઝેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય, ઈન્ડિયન એકેડમી ઓફ ન્યૂરોલોજી (આઈએએન)ના એક્ઝિક્યુટીવ મેમ્બર, બ્રેન હાર્ટ ફાઉન્ડેશનના ડિરેક્ટર તરીકે ફરજ બજાવશે.

આ નિમણૂક અંગે ડો. શર્માએ જણાવ્યું હતું કે, “સોસાયટી ઓફ ન્યૂરોસોનોલોજી દ્વારા આ બિરૂદ આપવા બદલ ગર્વ અનુભવી રહ્યો છું. આ તક મને ક્લિનિકલ પ્રેક્ટિસમાં ન્યુરોસોનોલોજીના એકીકરણને પ્રોત્સાહન આપવા, વિશ્વ સાથે જોડાણોની સુવિધા તેમજ એડવાન્સ રિસર્ચની મદદથી સ્ટ્રોક અને ન્યુરોલોજીકલ કેરને પુનઃ વ્યાખ્યાયિત કરવા પ્રેરણા આપશે.”

ડો. શર્માના નેતૃત્વ હેઠળ સોસાયટી ઓફ ન્યૂરોસોનોલોજી ઈનોવેટિવ ટેક્નોલોજીનો લાભ લેતાં હેલ્થકેર પ્રોફેશનલ્સને શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે વૈશ્વિક સ્તરે ન્યૂરોલોજિકલ કેરના માપદંડોમાં સુધારો કરતાં પરિવર્તનશીલ યુગની શરૂઆત કરશે.

કોન્ફરન્સમાં આયોજિત ન્યૂરોસોનોલોજીમાં અદ્યતન પ્રગતિઓ મુદ્દે સંવાદના પ્લેટફોર્મ તરીકે સેવા આપતી વખતે ડો. શર્માના નોંધનીય યોગદાનને રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડરના નિવારણ, નિદાન અને વ્યવસ્થાપન માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

Share This Article