ફટાકડા ફોડવા અંગે ચુકાદાના ભંગ બદલ બેની ધરપકડ થઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  સુપ્રીમ કોર્ટે રાતના ૧૦ વાગ્યા બાદ ફટાકડા ફોડવાનો પ્રતિબંધ લાદયો છે અને રાત્રે ૮થી ૧૦ વાગ્યા દરમ્યાન ફટાકડા ફોડવાની છૂટ આપી છે. ત્યારે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની માર્ગદર્શિકા અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ બે યુવકની ધરપકડ કરવામાં આવી છે. બંને યુવકોએ રાત્રે સાડા બાર વાગ્યે જાહેર માર્ગ પર ફટાકડા ફોડ્‌યા હતા. બીજીબાજુ, ફટાકડા ફોડનાર બંને યુવકોની ધરપકડને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. ફટાકડા ફોડવા મામલે સુપ્રીમકોર્ટના ચુકાદાની માર્ગદર્શિકાના ભંગ બદલ પોલીસ કાર્યવાહી થઇ હોય તેવો શહેરનો આ સૌપ્રથમ કિસ્સો હોઇ અન્ય ફટાકડા રસિયાઓ માટે પણ આ બનાવ ચેતવણીરૂપ છે.

બીજીબાજુ, ફટાકડા ફોડવાના સમય અંગે સરકાર હજુ ચર્ચા કરી રહી છે. જ્યારે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી રાત્રે ૮થી ૧૦માં જ ફટાકડા ફોડી શકાશે તેવી સ્પષ્ટતા કરી છે. આમ બંને વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. સરકાર હજુ સોમવારે અંતિમ નિર્ણય જાહેર કરશે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સીરીઝમાં જોડાયેલા ફટાકડા ફોડી શકાશે નહીં. ધ્વનિ પ્રદૂષણ રોકવા માત્ર પીઇએસઓ સંસ્થા દ્વારા અધિકૃત બનાવટના ફટાકડા વેચી અને ફોડી શકાશે. તો છેલ્લે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવાના સમય અંગેનો નિર્ણય રાજ્યો પર છોડતાં ગુજરાત સરકારમાં ચર્ચા ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આ મુદ્દે વિચારણા ચાલી રહી છે. કમિશનરના જાહેરનામા મુજબ હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો અને ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ફટાકડા ફોડી શકાશે નહી. ઇ કોમર્સ વેબસાઇટ પર ફટાકડાના વેચાણ ઓર્ડર લઇ શકાશે નહી. લોકોને અગવડ ઉભી ન થાય, ભયજનક સ્થિતિ ન સર્જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે, જ્વલનશીલ પદાર્થ નજીક ફટાકડા ફોડી શકાશે નહીં તે સહિતની માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ કરાવાઇ રહ્યો છે.

 

Share This Article