ઇઝરાયલના મુખ્ય નેતાના આદેશ પર સેના દ્વારા ઉત્તર અને દક્ષિણ ગાઝાને ટાર્ગેટ બનાવતા જબલિયામાં 22 બાળકો સહિત ઓછામાં ઓછા ૭૦ જણાના મોત થયા હતા. જબલિયામાં બચાવકાર્ય દરમ્યાન મોબાઈલની ટોર્ચથી કાટમાળમાંથી લોકોને બચાવવાના પ્રયાસ કરાઈ રહ્યા હતા.
તે સમયે યુદ્ધવિરામની આશા જગાવતા હમાસના સોમવારે ઈઝરાયેલી-અમેરિકી બંધકને છોડવાના પગલા પછી આ હુમલા કરાયા હતા. દરમ્યાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ સઉદી અરબની મુલાકાત લેતા રાજદ્વારી દબાણની આશા જાગી હતી. જાે કે નેતાન્યાહુએ હમાસને સમાપ્ત કરવાના લક્ષ્યાંક પર ભાર મુકીને ગાઝામાં લશ્કરી કાર્યવાહીની યોજના ફરી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલે મોહમ્મદ સિનવરને મારવા છેલ્લા દાયકામાં અનેક પ્રયાસ કર્યા હતા. મોહમ્મદ સિનવરનો મોટાભાઈ યાહ્યા સિનવર ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈઝરાયેલી હુમલામાં માર્યા ગયો હતો. મોહમ્મદ સિનવરને મારવા કરાયેલા હુમલામાં હોસ્પિટલના માળખાને નુકસાન થતા સર્જરીઓ અટકાવી દેવી પડી હતી અને એમ્બ્યુલન્સ સેવા અટકી ગઈ હતી તેમજ ઈમરજન્સી મેડિકલ સેવાઓને ગંભીર અસર પડી હતી. હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું કે તેમના સમારકામ ઉપકરણોને પણ ઈઝારાયેલી દળોએ તોડી પાડયા હતા. ઈઝરાયેલી દળોએ હમાસનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હોસ્પિટલની નીચે ભૂગર્માં હોવાનો દાવો કર્યો હતો.
ઈઝરાયેલી દળોએ જબલિયામાં રોકેટ લોન્ચરો સહિત આતંકીઓના માળખાનો ઉલ્લેખ કરીને નાગરિકોને શહેર છોડી દેવા જણાવ્યું હતું. દરમ્યાન ગાઝામાં માનવીય સ્થિતિ વધુને વધુ કથળતી રહી છે. આંતરરાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે ગાઝામાં દુષ્કાળ આવી શકે છે. પચાસ લાખથી વધુ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. ઈઝરાયેલી બ્લોકેડને કારણે બજારમાં અનાજની તંગી સર્જાઈ છે અને કિંમતો આસમાને ગઈ છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ અહેવાલ આપ્યો છે કે તે તીવ્ર અપોષણથી પીડાતા માત્ર પાંચસો બાળકોને સારવાર કરવા સક્ષમ છે, જ્યારે હજારો બાળકોને મદદની તીવ્ર જરૂર છે. ઈઝરાયેલનો દાવો છે કે બ્લોકેડનો હેતુ હમાસ પર તમામ બંધકોને છોડી મુકવા તેમજ શસ્ત્રો ત્યજી દેવા દબાણ કરવાનો છે. છતાં માનવીય ક્ષતિ ઝડપથી વધી રહી છે અને શાંતિપૂર્ણ ઉકેલનો કોઈ સંકેત નથી દેખાઈ રહ્યો.