એલિસબ્રિજ પરથી બે ભાગમાં મૃતદેહ મળતાં ભારે સનસનાટી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : શહેરના એલિસબ્રિજ પર આવેલા વિકટોરિયા ગાર્ડન નજીક માણેકબુર્જની પાસેથી ગઇ કાલ સવારે ૧૧ વાગ્યાની આસપાસ એક મૃતદેહના સળગેલા અવશેષો મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. લાશનુ માથુ એક વિસ્તારમાંથી અને અન્ય અંગો બીજા વિસ્તારમાંથી મળી આવતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. મૃતકના અંગો અને અવશેષોને જાતાં તેની હત્યા કરીને સળગાવીને મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. મૃતદેહના બાકીના અવશેષો શોધવા માટે પોલીસ દ્વારા નદીમાં તેમજ બ્રિજની નીચેના ભાગે તપાસ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, લાશ ત્રણ-ચાર દિવસ જૂની હોઇ શકે છે.

લાશ કોની છે તે અંગે માહિતી મેળવવા એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. દર વખતની જેમ આ વખતે પણ પોલીસ તપાસમાંથી હાથ અધ્ધર કરવા એક બીજા પોલીસ સ્ટેશનની હદનો વિવાદ કરવામાં આવ્યો હતો, છેવટે ચાર કલાકની હદની બબાલ બાદ ગાયકવાડ હવેલી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે સવારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનથી થોડે દૂર એક વ્યકિતની સળગેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આ મૃતદેહના અવશષો મળતાની સાથે એલિસબ્રિજ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પરંતુ મૃતદેહના બે ટુકડા મળી આવ્યા હતા. જેમાં નદીના ભાગ તરફથી મળેલા મૃતદેહનો ટુકડો સળગેલો હતો. જ્યારે મૃતદેહનો અન્ય ટુકડો માણેકબુર્જ પાસેથી મળી આવ્યો હતો.

હજી સુધી મૃતદેહના અન્ય ટુકડા અને અવશેષો ગુમ હોવાની વાત મળતા નજીકના ચાર પોલીસ સ્ટેશનનો કાફલો ખડકી દેવામાં .આવ્યો હતો. ગાયકવાડ હવેલી પોલીસે તમામ અવશેષો કબજે કરી હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહના અવશેષો શોધવા નદીમાં પણ શોધખોળ કરવામાં આવી હતી. બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોઇને ક્રાઇમબ્રાંચે પણ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. હજી સુધી આ હત્યા કઇ રીતે કરવામાં આવી અને આ મૃતદેહ કોનો છે તેની પોલીસને જાણ થઇ નથી પરંતુ ટૂંક સમયમાં જ તેની ઓળખ કરી લેવાશે, ગુનાનો ભેદ ઉકેલી નંખાશે તેવો પોલીસે દાવો કર્યો હતો.

Share This Article