વિશ્વ ઉમિયાધામ ખાતે મુખ્યમંત્રીના હસ્તે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન

Rudra
By Rudra 2 Min Read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં પાટડીના રાજવી દરબારો અને દેસાઈ ભાયાતોની આશરે 750 વર્ષની વંશાવલીનો સમાવેશ કરાયો છે. આ પ્રસંગે પાટડી દરબારો અને દેસાઈ ભાયાતોના 750 વર્ષના ઇતિહાસનું આ પુસ્તક તૈયાર કરનારા પાટીદારોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટડી દરબાર કર્ણીસિંહ દેસાઈ સહિત પાટડીના મુળ વતની 400થી વધુ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ જગત જનની મા ઉમિયાના દર્શન અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ મુખ્યમંત્રીએ વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણ કાર્યનું નિરિક્ષણ કર્યું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે એકતામાં શક્તિ છે. જ્યારે લોકો એકતાથી કામ કરે છે, ત્યારે મોટાંમાં મોટાં કાર્યો સરળતાથી થઇ શકે છે. વ્યક્તિગત તાકાત કરતાં સામૂહિક તાકાત વધારે પ્રભાવશાળી હોય છે.તેમણે કહ્યું કે આઝાદીની લડાઈનો પ્રારંભ અસહકારના આંદોલનથી થયો હતો, જ્યારે આજનો સમય સહકારથી સમૃદ્ધિનો છે. જે સમાજના લોકો એકબીજા સાથે સહકારથી, સહાનુભૂતિથી અને પરસ્પર વિશ્વાસથી જોડાયા હોય, તેનો વિકાસ સતત આગળ વધતો જ રહે છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે આઝાદી સમયે પાટડીમાં કડવા પાટીદાર સમાજનું એક માત્ર દેશી રજવાડું હતું. આજે હળથી લઈ હેલિકોપ્ટરનું નિર્માણ આ સમાજના લોકો દ્વારા થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે મંદિરો એ શક્તિનાં કેન્દ્રો છે, ત્યારે વિશ્વ ઉમિયાધામના નિર્માણમાં દરેક તબક્કે મળેલા સહકાર બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share This Article