કેન્દ્ર સરકારે ઈંધણના વધતા ભાવ અને વૈશ્વિક બજારની અસ્થિર સ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે સરકાર દર 15 દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ અને આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિની સમીક્ષા કરશે, જેથી જરૂર મુજબ ઝડપી પગલાં લઈ શકાય.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિર્ણય હેઠળ પેટ્રોલ અને ડીઝલ પરના કેન્દ્રીય એક્સાઈઝ શુલ્કમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. નવી દર મુજબ પેટ્રોલ પર કુલ એક્સાઈઝ ડ્યૂટી ₹11.9 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹7.8 પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે.
આ પગલું મુખ્યત્વે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને થતા નુકસાનને ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઉથલપાથલના કારણે કંપનીઓને અંડર-રિકવરીનો સામનો કરવો પડી રહ્યો હતો.
સરકારના આ નિર્ણયથી ગ્રાહકોને રાહત મળશે તેવી અપેક્ષા છે, સાથે સાથે તેલ કંપનીઓને પણ આર્થિક રીતે થોડી સ્થિરતા મળશે. આગામી સમયમાં દર 15 દિવસની સમીક્ષા આધારે ભાવોમાં ફેરફાર થવાની શક્યતા છે, જેના કારણે બજારમાં પારદર્શિતા અને સંતુલન જળવાઈ રહેશે.
આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની મધ્ય પૂર્વમાં ઊર્જા માળખા પર અસર પડી છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી લાદી હતી, જેના કારણે વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડના ભાવ 28 ફેબ્રુઆરીએ પ્રતિ બેરલ $68 થી વધીને 7 માર્ચે $100થી વધુ થઈ ગયા હતા. શુક્રવાર બપોર સુધીમાં ભાવ પ્રતિ બેરલ $110ની આસપાસ હતો. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના દરિયાઈ ક્રૂડ તેલ અને ગેસના 20-25% પરિવહન કરે છે. ભારત તેના ક્રૂડ તેલનો 40-50% આ માર્ગ દ્વારા આયાત કરે છે. કતાર અને યુએઈમાંથી LNG અને LPGનો મોટો હિસ્સો પણ આ માર્ગ દ્વારા આવે છે, જે 330 મિલિયનથી વધુ ઘરો માટે મહત્વપૂર્ણ છે.
