પહેલીથી BRTS માં યાત્રીને ટિકિટ ન આપવાની તૈયારીઓ, હજારો નાગરિકો પરેશાન થવાની શકયતા

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી મિશનના ભાગરૂપે ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ અમદાવાદને ડિજિટલ બનાવવા માટે આગામી તા.૧ લી સપ્ટેમ્બરથી બીઆરટીએસ સર્વિસમાં ઉતારુઓને હવે ટિકિટ નહીં અપાય. બીઆરટીએસમાં હવે કેશલેસ સિસ્ટમની નવી જાહેરાત મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરાઇ છે,  પરંતુ આ કેશલેસ સીસ્ટમની અમલવારીને કેટલી સફળતા મળશે તેવા સવાલો તો અત્યારથી ઉઠી જ રહ્યા છે સાથે સાથે અમ્યુકો તંત્રના આવા ગતકડાંથી હજારો સામાન્ય નાગરિકો હેરાન થવાની શકયતા પણ સેવાઇ રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓએ નાગરિકોને કેશલેસ સેવાનો મહત્તમ લાભ આપવાના હેતુસર બીઆરટીએસ સર્વિસમાં કાર્ડથી પેમેન્ટ વ્યવસ્થા આગામી તા.૧ લી સપ્ટેમ્બરથી અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ કાર્ડ સેવામાં સૌથી વધુ ઉપયોગ કરનાર ભાગ્યશાળીઓને લકી ડ્રો મારફતે કુલ ૧૦૦ સ્માર્ટફોન ઇનામમાં આપવાની જાહેરાત પણ કરાઇ છે.

જો કે, જાણકાર સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇન હેઠળ ૧૦૦ સ્માર્ટ સિટીઝ માટે ૧૦૦ દિવસની ચેલેન્જ જાહેર કરાઇ છે, તેના ભાગરૂપે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ નાગરિકોને ટિકિટના બદલે કાર્ડ ફરજિયાત કરવાની દિશામાં આગેકૂચ કરી છે, પરંતુ આ સમગ્ર યોજના હજારો નાગરિકો માટે માથાનો દુઃખાવો બની રહે તેવું પણ લાગી રહ્યું છે.

આજની તારીખમાં બીઆરટીએસ સેવાનો દૈનિક ૧.૭૦ લાખ ઉતારુઓ લાભ લઇ રહ્યા છે. જે પૈકી રપ થી ૩૦ હજાર ઉતારુઓએ જનમિત્ર કાર્ડ કઢાવ્યાં છે. આમાંથી પણ ફક્ત નવ હજાર ઉતારુઓ જ જનમિત્ર કાર્ડનો દૈનિક ઉપયોગ કરે છે. એટલે હજુ પણ જનમિત્ર કાર્ડ ઉતારુઓમાં લોકપ્રિય બન્યાં નથી. બીજી તરફ  જનમિત્ર કાર્ડ કઢાવવા માટે ૭પ ફરજિયાત પણે તંત્રને ચૂકવવા પડે છે.

આ નવી વ્યવસ્થાથી બહારગામથી આવતા લોકો પણ મુશ્કેલીમાં મુકાનાર હોઇ ખુદ શાસક ભાજપ પક્ષમાં જ વિરોધના સૂર ઊઠી રહ્યા છે, ત્યારે અમ્યુકો તંત્રનો સ્માર્ટ સીટી અને ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે અમદાવાદને કેશલેસ બનાવવાનો પ્રયાસ સફળ થશે કે કેમ તેવો ગંભીર સવાલ વિવાદ વચ્ચે ચર્ચાઇ રહ્યો છે.

Share This Article