બોપલ : દિવાલ તુટી પડતા પરિવારના ૪ લોકોના મોત

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

       અમદાવાદ :       અમદાવાદ શહેરમાં બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને પગલે શહેરનાં બોપલ નજીક શેલામાં નિર્માણાધીન એક બંગલાની દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના ચાર લોકોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. એક જ પરિવાર ચાર સભ્યોના મોતને લઇ સમગ્ર વિસ્તારમાં અને આસપાસના સ્થાનિક રહીશોમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરનાં સાઉથ બોપલના શેલામાં ક્લબ ઓ-૭ રોડ પર આવેલા નિર્માણાધીન નિસર્ગ બંગલાની એક દિવાલ ધરાશાયી થઇ હતી.

રાતના લગભગ સાડા ત્રણ વાગ્યે દિવાલ પડવાને કારણે ચાર લોકો દટાયા હતાં. આ દિવાલ પડવાનો અવાજ આવતા સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યો હતો. ત્યારબાદ તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરીને દિવાલ નીચે દબાયેલા ચાર લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં.

જ્યાં તમામ ચાર લોકોને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને એક જ પરિવારના ચાર સભ્યોના મોતને લઇ સ્થાનિક રહીશોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

Share This Article