ભાજપ-ટીઆરએસ સાથે મળીને ચૂંટણી લડી શકે છે: વડાપ્રધાન મોદીએ ચંદ્રશેખર રાવની પ્રશંસા બાદ ચર્ચાઓ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવીદિલ્હી: લોકસભામાં શુક્રવારના દિવસે અવિશ્વાસ દરખાસ્ત ઉપર ગરમાગરમ ચર્ચા બાદ જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની ભરપુર પ્રશંસા કરી હતી. આના કારણે એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે. એવી ચર્ચા છેડાઈ ગઈ છે કે, હજુ સુધી બિન ભાજપ અને બિન કોંગ્રેસ મોરચાની તરફેણ કરી રહેલા ચંદ્રશેખર રાવ ગઠબંધન કરીને આગામી ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે.

જો કે, તેલંગાણા રાષ્ટ્રીય સમિતિએ ભાજપ સાથે કોઇપણ પ્રકારના ગઠબંધનનો હાલમાં ઇન્કાર કર્યો છે. ટીઆરએસના નેતૃત્વએ ખુલાસો કર્યો છે કે, પાર્ટી આગામી ચૂંટણીમાં ભાજપની સાથે ગઠબંધન કરશે નહીં. બીજી બાજુ તેલંગાણામાં ભાજપ તરફથી આવા કોઇ પ્રયાસ હજુ સુધી થઇ રહ્યા નથી.

સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તર પર ભાજપના નેતાઓએ સ્પષ્ટતા કરી છે કે, પાર્ટી અહીં તમામ સીટો ઉપર ચૂંટણી મેદાનમાં ઉતરશે. વડાપ્રધાન દ્વારા ટીઆરએસની પ્રશંસાના મુદ્દે પાર્ટીના નેતા જીતેન્દ્ર રેડ્ડીએ કહ્યું છે કે, ગઠબંધનની કોઇ શક્યતા નથી. અમે ચૂંટણી મેદાનમાં એકલા હાથે ઉતરીશું. ગઠબંધનનો કોઇ પ્રશ્ન નથી. આની કોઇ જરૂર પણ દેખાતી નથી. પાર્ટી એકલા આધાર પર ચૂંટણી મેદાનમાં ઉતરશે.

થોડાક દિવસ પહેલા જ રાવ બિનભાજપ અને બિનકોંગ્રેસ ફ્રન્ટને લઇને ખુબ જ સક્રિય દેખાયા હતા પરંતુ હાલમાં ભાજપના વિકલ્પ તરીકે પણ જોવામાં આવે છે. શરૂઆતમાં રાવ પોતાના ફ્રન્ટમાં કોંગ્રેસની સાથે ગઠબંધનમાં સામેલ સાથી પક્ષોને સામેલ કરવા ઇચ્છુક દેખાયા હતા. હવે રાવ નરમ પડ્યા છે. મોદી તરફથી પ્રશંસા બાદ નવા સમીકરણોના સંકેત પણ દેખાઈ રહ્યા છે. ટીઆરએસ મજબૂત પાર્ટી તરીકે તેલંગાણામાં શરૂઆતથી જ રહી છે. આવી પરિસ્થિતિમાં મોદી દ્વારા પ્રશંસા નવી ચર્ચાને જન્મ આપે છે.

Share This Article