ગાંધીનગર : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે જેમાં, નાયબ ખેતી નિયામક વર્ગ-૧ની પરીક્ષા રદ કરવામાં આવી છે. જ્યારે મદદનીશ ખેતી નિયામક વર્ગ-૨ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે.
મહત્વનું છે કે, આ ર્નિણય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને લઈને ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ લેવામાં આવ્યો છે. ઉમેદવારોનું કહેવું હતું કે, પરીક્ષામાં એક જ પુસ્તકમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના કારણે બધા ઉમેદવારોને એકસરખી તક મળતી નહોતી. આ બાબતને ધ્યાનમાં રાખીને અને ઉમેદવારોને સમાન તક મળે તે હેતુથી GPSC દ્વારા આ પરીક્ષા રદ કરવાનો મહત્ત્વનો ર્નિણય લેવાયો છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જણાવાયું છે કે, ગત ૨૭ મે ૨૦૨૫ના રોજ લેવાયેલી નાયબ ખેતી નિયામક /જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ-૧ની પરીક્ષા અંગે ૨૮ મેના રોજ ઉમેદવારોએ રજૂઆત કરી હતી કે, પરીક્ષામાં એક જ પુસ્તકમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના કારણે બધા ઉમેદવારોને એકસરખી તક મળતી નહોતી. જે સાચી ઠરી હતી.
આ પરીક્ષા માટે જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતાં તમામ ઉમેદવારોને એકસરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા રદ કરવાનો ર્નિણય લેવાયો છે. તે ઉપરાંત આગામી ૩૧ મેના રોજ લેવાનારી મદદનીશ ખેતી નિયામક વર્ગ-૨ની પરીક્ષામાં પણ સમાન અભ્યાસક્રમ હોવાથી તેમાં પણ જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતા ઉમેદવારોને સ્પર્ધાની સરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા પણ મુલતવી રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. હવે પછી આ બન્ને ભરતી માટે સંબંધિત વિષયની એક જ પરીક્ષા સંયુક્ત રીતે ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ લેવામાં આવશે.તેમાં બન્ને જાહેરાતમા ઉમેદવારી નોંધાવેલ હોય તેવા ઉમેદવારોએ મેળવેલ ગુણ બન્ને ભરતીમાં ધ્યાને લેવામાં આવશે.