“બે કફ સિરપ અસુરક્ષિત, ભૂલેચૂકે પણ આનો ઉપયોગ ન કરવો” : WHOની ચેતવણી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ભલામણ કરી છે કે ઉઝ્‌બેકિસ્તાનમાં બાળકો માટે નોઈડાની કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી બે કફ સિરપનો ઉપયોગ કરવો  જોઈએ નહીં. બુધવારે એક મેડિકલ પ્રોડક્ટ એલર્ટમાં WHO એ કહ્યું કે ‘મેરિયન બાયોટેક દ્વારા નિર્મિત સબ સ્ટાન્ડર્ડ ચિકિત્સા ઉત્પાદન, એવા પ્રોડક્ટ છે જે ગુણવતા માપદંડો કે વિશિષ્ટતાઓને પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે અને આથી specification થી બહાર છે.’ WHO એ પોતાની વેબસાઈટ પર જાહેર કરેલી એક એલર્ટમાં કહ્યું કે, આ WHO મેડિલ પ્રોડક્ટ એલર્ટ બે સબ સ્ટાન્ડર્ડ (દૂષિત) ઉત્પાદનોને સંદર્ભિત કરે છે. તે ઉઝ્‌બેકિસ્તાનમાં ઓળખાયેલા અને ૨૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ WHO ને રિપોર્ટ કરાયા હતા. સબ સ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોડક્ટ્‌સ એવા ઉત્પાદનો છે જે ગુણવતા માપદંડો કે વિશિષ્ટતાઓને પૂરા કરવામાં નિષ્ફળ હોય છે અને આથી તે સ્પેસિફિકેશનમાંથી બહાર છે. એલર્ટમાં કહેવાયું છે કે બે ઉત્પાદનો એમ્બરોનોલ સિરપઅને ડીઓકે-૧ મેક્સ સિરપ છે. બંને ઉત્પાદનોના જાહેર નિર્માતા મેરિયન બાયોટેક પ્રાઈવેટ લિમિટેડ ઉત્તર પ્રદેશ ભારત છે. આજ સુધી કથિત નિર્માતાએ આ ઉત્પાદનોની સુરક્ષા અને ગુણવત્તા પર WHO ને ગેરંટી આપી નથી.

ઉઝ્‌બેકિસ્તાનથી ઉધરસની દવાથી બાળકોના મોતના સમાચાર સામે આવ્યા બાદ નોઈડા સ્થિત ફાર્મા મેરિયન બાયોટેક પર સંકટના વાદળો છવાયા છે. WHO ના જણાવ્યાં મુજબ ઉઝ્‌બેકિસ્તાન ગણરાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયના રાષ્ટ્રીય ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળાઓ દ્વારા કરાયેલા કફ સિરપના નમૂનાઓના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે બંને ઉત્પાદનોમાં દૂષિત પદાર્થોના રૂપમાં ડાયથિલિન ગ્લાઈકોલ અને /અથવા એથિલીન ગ્લાઈકોલની અસ્વીકાર્ય માત્રા સામેલ છે.

WHO એલર્ટમાં કહેવાયું છે કે આ બંને ઉત્પાદનોના ક્ષેત્રમાં અન્ય દેશોમાં માર્કેટિંગ પ્રાધિકરણ હોઈ શકે છે. તેમને અનૌપચારિક બજારોના માધ્યમથી, અન્ય દેશો કે વિસ્તારોમાં પણ વિતરિત કરવામાં આવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે આ એલર્ટમાં સંદર્ભિત સબ સ્ટાન્ડર્ડ ઉત્પાદનો અસુરક્ષિત છે અને ખાસ કરીને બાળકોમાં તેના ઉપયોગથી ગંભીર ઈજા કે મૃત્યુ થઈ શકે છે. અત્રે જણાવવાનું કે ૨૨ ડિસેમ્બરે ઉઝ્‌બેકિસ્તાને આરોપ લગાવ્યો કે મેરિયન બાયોટેક કંપની દ્વારા નિર્મિત દવાઓના સેવનથી ૧૮ બાળકોના મોત થયા. મંગળવારે યુપીની ખાદ્ય સુરક્ષા અને ઔષધિ પ્રશાસન વિભાગે મેરિયન બાયોટેક કંપનીનું ઉત્પાદન લાઈસન્સ સસ્પેન્ડ કરી નાખ્યું હતું. ગત મહિને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે ઉધરસની દવા Dok1 Max માં દુષણના સમાચારોને ધ્યાનમાં રાખીને નોઈડા સ્થિત ફાર્મા કંપનીની તમામ નિર્માણ ગતિવિધિઓને રોકવામાં આવી છે.

Share This Article