ભારતને ફટકો -પ્રથમ ટેસ્ટ મેચ પહેલા અશ્વિન ઘાયલઃ પ્રથમ ટેસ્ટમાં રમશે કે કેમ તેને લઇને સસ્પેન્સ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

લંડન ઇંગ્લેન્ડની સામે શરૂ થઇ રહેલી ટેસ્ટ શ્રેણી પહેલા ભારતને મોટો ફટકો પડ્યો છે. કારણ કે, આધારભૂત સ્પીનર આર અશ્વિન ઇજાગ્રસ્ત થઇ ગયો છે. ટીમ ઇન્ડિયાના સૌથી અનુભવી ઓફ સ્પીનર આર અશ્વિન પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થઇ ગયો છે.

અશ્વિનને એસેક્સની સામે રમાઈ રહેલી પ્રેક્ટિસ મેચ દરમિયાન પ્રથમ દિવસે જ ઇજા થઇ ગઇ છે જેના પરિણામ સ્વરુપે બીજા દિવસે તે બોલિંગ કરી શક્યો ન હતો. તેના જમણા હાથમાં ઇજા થઇ છે. ટીમના ફિઝિયો દ્વારા કહેવામાં આવ્યું છે કે, સ્પીનરની ઇજા ગંભીર નથી. તે અભ્યાસ મેચના બીજા દિવસે લંચ બ્રેકમાં થોડાક સમય સુધી બોલિંગ કરતો નજરે પડ્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં તે રમી શકશે કે કેમ તે અંગે હજુ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો અશ્વિનની ઇજા ગંભીર રહેશે તો ભારતને મોટો ફટકો પડશે. કારણ કે, તે બોલિંગ અને બેટિંગ બંનેમાં ઉપયોગી સાબિત થઇ શકે છે. તે ઇજાગ્રસ્ત રહેશે તો ભારતને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

અશ્વિન ઉપરાંત ભારતની પાસે જાડેજા, કુલદીપ યાદવ તરીકે બે સ્પેશિયાલિસ્ટ સ્પીનરો રહેલા છે પરંતુ અનુભવીની દ્રષ્ટિએ અશ્વિન વધારે શ્રેષ્ઠ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અશ્વિને બેટિંગમાં પણ ભારત તરફથી કેટલાક રન બનાવ્યા છે. વન અને ટી સિરિઝમાં કુલદીપ યાદવની બોલિંગમાં જે રીતે ઇંગ્લેન્ડના બેટ્‌સમેનો મુશ્કેલી અનુભવ કરતા આવ્યા છે તેને ધ્યાનમાં લઇને જા અશ્વિન ટીમમાં રહેશે તો ભારતને ફાયદો થશે.

વનડે સિરીઝની છેલ્લી બે મેચોમાં રુટે શાનદાર બેટિંગ કરી હતી અને સદી ફટકારી હતી. જો કે અન્ય ઇંગ્લીશ બેટ્‌સમેનો ભારતીય સ્પીનરો સામે ટકી શક્યા ન હતા. અશ્વિનની ઇજાના સંદર્ભમાં ક્રિકેટ બોર્ડ તરફથી હજુ સુધી કોઇ અંતિમ ખુલાસો કરવામાં આવ્યો નથી જેથી ભારે સસ્પેન્સની સ્થિતિ બનેલી છે.

Share This Article