અમદાવાદ: મહિલાઓમાં જોવા મળતા સાંધાના વા અને કરોડરજ્જુના વા જેવી ગંભીર સમસ્યાઓ અંગે જાગૃતિ વધારવાના હેતુથી Antardhwani દ્વારા અમદાવાદમાં વિશેષ હેલ્થ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની St. Xavier’s College HD Auditorium ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 200 જેટલી મહિલાઓએ ભાગ લઈને નિષ્ણાત ડોક્ટરો સાથે સીધી ચર્ચા કરી હતી.
મહિલાઓમાં RA અને AS: હોર્મોન્સ, ફર્ટિલિટી અને સોજાની સમજ વિષય પર આયોજિત આ સેમિનારમાં મહિલાઓને Rheumatoid Arthritis (સાંધાનો વા) અને Ankylosing Spondylitis (કરોડરજ્જુનો વા) જેવી બીમારીઓ શરીરના હોર્મોન્સ, ગર્ભાવસ્થા અને સોજા પર કેવી અસર કરે છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દર્દીઓ, તેમના પરિવારજનો તેમજ નિષ્ણાત ડોક્ટરો એક સાથે જોડાયા હતા. ખાસ કરીને ગર્ભાવસ્થા (Pregnancy), ડિલિવરી પછીનો સમય (Postpartum) અને મેનોપોઝ જેવા તબક્કાઓ દરમિયાન શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો આ બીમારીઓને કેવી રીતે અસર કરે છે તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ સેમિનાર દ્વારા સાંધાના રોગોના નિષ્ણાતો અને સ્ત્રીરોગ નિષ્ણાતો વચ્ચે સંકલન વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી મહિલાઓને તેમની બીમારીના યોગ્ય વ્યવસ્થાપન માટે માર્ગદર્શન મળી શકે.
કાર્યક્રમમાં જાણીતા ગાયનેકોલોજિસ્ટ Pushpa Yadav તેમજ રૂમેટોલોજિસ્ટ Sapan Pandya, Vishnu Sharma, Reena Sharma અને Pooja Shrivastava ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું.
ડૉ. સપન પંડ્યાએ જણાવ્યું હતું કે, મહિલાઓ લાંબા સમયથી પોતાના શરીરમાં થતા ફેરફારો અને આ બીમારીઓ વચ્ચેના સંબંધને સમજી શકતી નથી. આ પ્રકારના કાર્યક્રમોનો હેતુ મહિલાઓને સજાગ બનાવવાનો છે જેથી તેઓ પોતાના ડોક્ટર સાથે ખુલ્લેઆમ ચર્ચા કરી શકે અને જીવનના દરેક તબક્કે પોતાના સ્વાસ્થ્ય અંગે યોગ્ય નિર્ણય લઈ શકે.
ડૉ. પુષ્પા યાદવે ગર્ભાવસ્થા દરમિયાન દવાઓના યોગ્ય ઉપયોગ અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ગર્ભધારણની યોજના કરતી વખતે ગાયનેકોલોજિસ્ટ અને રૂમેટોલોજિસ્ટ વચ્ચે યોગ્ય સંકલન હોવું અત્યંત જરૂરી છે, જેથી માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે.
આ ઉપરાંત ડૉ. રીના શર્માએ સ્વઇચ્છાએ દવાઓ લેવાની પ્રવૃત્તિ (Self-medication) અંગે ચેતવણી આપી હતી અને દર્દીઓને કોઈ પણ દવા શરૂ કરતા પહેલા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ડૉ. પૂજા શ્રીવાસ્તવે ગર્ભાવસ્થાના મહત્વ અને આ સમયગાળા દરમિયાન ઓટોઈમ્યુન બીમારીઓમાં આવતા ફેરફારો અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, ગર્ભાવસ્થા દરમિયાન શરીરની રોગપ્રતિકારક શક્તિમાં બદલાવ આવતા હોવાથી આવી બીમારીઓનું વર્તન અલગ હોઈ શકે છે, તેથી સમયસર યોગ્ય માર્ગદર્શન અને સારવાર અત્યંત જરૂરી છે.
આ સેમિનાર દ્વારા મહિલાઓને તેમના સ્વાસ્થ્ય અંગે જાગૃત બનવા, હોર્મોનલ ફેરફારોને સમજવા અને સાંધાના રોગો સાથે વધુ સારા રીતે જીવન જીવવા માટે પ્રેરણા મળી હતી.
