મોરબી : મંગળવારે વહેલી સવારે મોરબીમાં એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. યાત્રાળુઓને અકસ્માત નડતા તેઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, મોરબીના આમરણ ગામ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હોટલ પાસે રોડ સાઈડમાં પાર્ક કરેલ એસટી બસની પાછળ કાર ઘુસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર રામાનુજ ચારૂલુ (ઉવર્ષ.૫૩) અને કાસ્યારામ (ઉ.વર્ષ. ૬૭) નું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોનો આબાદ બચાવ થયો હતો. મૃતકો આંધ્રપ્રદેશથી ધાર્મિક યાત્રાએ નીકળેલ લોકોને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત કારના ડ્રાઈવરને ઝોકું આવી જતા સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવવા પામ્યું છે.
હોટલ નજીક વહેલી સવારે અચાનક અકસ્માત સર્જાતા સમગ્ર રોડ ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત સર્જાતા હોટલ પર રહેલ લોકો તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યા હતા. અને મહામહેનતે કારમાંથી મૃતકો તેમજ ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. તેમજ ઈમરજન્સી ૧૦૮ મારફતે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. અકસ્માતની જાણ પોલીસને કરતા મોરબી તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક પણ ક્લીયર કર્યો હતો.