એરસેલ કેસ : ચિદમ્બરમની ૧૮ સુધી ધરપકડ નહીં થાય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી: ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને ધરપકડથી વધુ રાહત મળી ગઈ છે. એરસેલ-મેક્સિસ કૌભાંડમાં ધરપકડથી દિલ્હી કોર્ટે તેમને રાહત આપી દીધી છે. હવે ૧૮મી ફેબ્રુઆરી સુધી તેમની ધરપકડ થઇ શકશે નહીં. સ્પેશિયલ સીબીઆઈ જજ ઓપી સૈનીએ ચિદમ્બરમને રાહત લંબાવી દીધી હતી અને કહ્યં હતું કે, પહેલી ફેબ્રુઆરીના દિવસે ચિદમ્બરમને કેટલીક સ્પષ્ટતા કરવી પડશે. આ કેસમાં હવે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. એરસેલ-મેક્સિસ સોદાબાજીમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજુરીમાં ગેરરીતિના સંદર્ભ સાથે આ કેસ છે.

આ કેસમાં ચિદમ્બરમ અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે એરસેલ-મેક્સિસ કેસમાં પુછપરછ માટે ઉપસ્થિત થવા કાર્તિ ચિદમ્બરમના સંદર્ભમાં કઇ તારીખ રખાઈ છે તે અંગે ખુલાસો કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આદેશ કર્યો હતો. તપાસ સંસ્થાએ વિદેશ જવાની માંગ કરતી કાર્તિ ચિદમ્બરમની અરજીને લઇને વિરોધ કર્યો છે. તપાસ સંસ્થાનું કહેવું છે કે, કાર્તિ સહકાર કરી રહ્યા નથી અને કરચોરીના મામલામાં આરોપી છે.

ઇડીએ એમ પણ કહ્યું હતું કે, એરસેલ-મેક્સિસ તપાસમાં વિલંબ થઇ રહ્યો છે. કારણ કાર્તિ ચિદમ્બરમ વારંવાર વિદેશ યાત્રા કરી રહ્યા છે. કાર્તિ ચિદમ્બરમને હવે ટેનિસ ટુર્નામેન્ટના ભાગરુપે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યુકે, સ્પેન, જર્મની અને ફ્રાંસ જવાની પરવાનગી માંગી છે. કોર્ટનું કહેવું છે કે, આ મામલામાં બુધવારના દિવસે ફરી સુનાવણી હાથ ધરવામાં આવનાર છે પરંતુ તપાસ સંસ્થાને પુછપરછ માટે કાર્તિની કઇ તારીખ નક્કી કરવી છે તે અંગે સ્પષ્ટતા કરવાની જરૂર છે. તપાસ સંસ્થાનો આક્ષેપ છે કે, કાર્તિ ચિદમ્બરમ છેલ્લા છ મહિનામાં ૫૧ દિવસ વિદેશમાં રહ્યા છે જેના લીધે તપાસમાં વ્યાપક વિલંબ થયો છે.

Share This Article