અમદાવાદ : એર ઈન્ડિયાએ ૧૨ જૂન અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરો અને એકમાત્ર બચી ગયેલા મુસાફરોના પરિવારો માટે નાણાકીય સહાયની જાહેરાત કરી છે. શનિવારે (૧૪ જૂન) એર ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત આપવા માટે ૨૫ લાખ રૂપિયાની વચગાળાની સહાય આપવામાં આવશે. આ પહેલા ટાટા ગ્રુપની કંપની ટાટા સન્સે મૃતકોના પરિવારજનોને ૧ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
એર ઈન્ડિયાએ કહ્યું કે, અમે આ દુ:ખ સમયમાં પીડિત પરિવારોની સાથે ઉભા છીએ. અમારા કર્મચારીઓ તેઓને તમામ મદદ કરવા માટે સતત કામ કરી રહ્યા છે. આ દુ:ખદ ઘટનાથી અમને આઘાત લાગ્યો છે. અમે જીવ ગુમાવનારાઓના પરિવારજનો સાથે શોક વ્યક્ત કરીએ છીએ. અમે પીડિતોના પરિવારને તાત્કાલીક રાહત આપવાની જાહેરાત કરી છે, જે તેમના મુશ્કેલ સમયમાં સહારો બનવાનો અમારો પ્રયાસ છે.
આ પહેલા ટાટા ગ્રુપે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દેરક વ્યક્તિના પરિવારને રૂ. ૧ કરોડની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ટાટા ગ્રુપે સ્પષ્ટતા કરી છે કે દુર્ઘટના સમયે કોલેજ હોસ્ટેલના પરિસરમાં હાજર જે લોકોએ જીવ ગુમાવ્યો છે તે લોકોને પણ રૂ. ૧ કરોડની આર્થિક સહાય આપવામાં આવશે.
૧૨ જુને અમદાવાદ થી લંડન જઈ રહેલા છૈં-૧૭૧ પ્લેન ક્રેશમાં ૨૬૫ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ૨૪૧ લોકો પ્લેનમાં સવાર હતા, જ્યારે અન્ય ૨૪ સ્થાનિકો ક્રેશનો ભોગ બન્યા હતાં. એર ઈન્ડિયાનું આ વિમાન ૧૧ વર્ષ જૂનુ હતું. જે ટૅકઑફની બે મિનિટમાં જ ધડાકાભેર બીજે મેડિકલની હોસ્ટેલમાં અથડાયું હતું. તેની આસપાસની ઈમારતોમાં પણ નુકસાન થયુ હતું. વિમાનનું બ્લેક બોક્સ કાટમાળમાંથી મળી આવ્યું છે. જેના પરથી દુર્ઘટનાનું કારણ જાણવામાં મદદ મળશે. કેન્દ્ર સરકારે પ્લેન ક્રેશની તપાસ કરવા માટે ઉચ્ચસ્તરીય સમિતિ રચી છે.
કેન્દ્ર સરકારે એર ઈન્ડિયા ફ્લાઈટ છૈં-૧૭૧ના અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું છે કે સમિતિ અકસ્માત પાછળના કારણો શોધી કાઢશે અને શું ખોટું થયું તેની તપાસ કરશે. સમિતિ હાલના સલામતી નિયમોની પણ સમીક્ષા કરશે અને ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવા માટે નવા રસ્તાઓ સૂચવશે. એર ઈન્ડિયાએ તેના નવ બોઈંગ ૭૮૭ વિમાનો પર આવી તપાસ પૂર્ણ કરી છે અને બાકીના ૨૪ વિમાનો માટે નિયમનકાર દ્વારા આપવામાં આવેલા સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તૈયાર છે.