અમદાવાદ: એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ પરંપરાગત હસ્તકળાઓના સંરક્ષણ અને કારીગરોની આજીવિકાને પ્રોત્સાહન આપવા માટે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (જીઆઈ) સુવિધા અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અંગે જાગૃતિ વધારવાના પ્રયત્નોને વધુ મજબૂત બનાવી રહ્યું છે. આ પ્રયત્નોના ભાગરૂપે, EDII દ્વારા 13–14 માર્ચ, 2026 દરમિયાન માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી MSME ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ફેસિલિટેશન સેન્ટર (MSME IPFC) યોજનાના અંતર્ગત ‘IP યાત્રા’ નામથી બે દિવસીય ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (IPR) આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈપી પ્રમોશન આઉટરીચ ફાઉન્ડેશન (આઈપીપીઓ)ના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ભારતભરના 500થી વધુ હિતધારકો જોડાયા હતા, જેમાં એમએસએમઇ, સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ, કારીગરો, શૈક્ષણિક જગતના પ્રતિનિધિઓ અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રીમતી જી. લતા, આઈએએસ, કમિશનર, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન ઇન્સ્ટિટ્યૂટ – તમિલનાડુ (ઇડીઆઈઆઈ-ટીએન) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના સાથે જતિન ત્રિવેદી, મેનેજિંગ પાર્ટનર, વાય. જે. ત્રિવેદી એન્ડ કો. અને રાજેશ કુમાર, સહાયક નિયામક, એમએસએમઇ ડેવલપમેન્ટ એન્ડ ફેસિલિટેશન ઓફિસ (ડીએફઓ), અમદાવાદ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના ભાષણમાં શ્રીમતી જી. લતા, આઈએએસ, કમિશનર, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન ઇન્સ્ટિટ્યૂટ – તમિલનાડુ (ઇડીઆઈઆઈ-ટીએન) એ ‘નીમ’નું ઉદાહરણ આપતાં અને વૈશ્વિક પેટન્ટ વિવાદનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું: “1995માં અમેરિકામાં સ્થિત એક કંપનીએ નીમ પર પેટન્ટ મેળવી લીધું હતું, જ્યારે ભારતમાં નીમનો ઔષધીય અને જીવાણુનાશક તરીકે ઉપયોગ હજારો વર્ષોથી થતો આવ્યો છે. છતાં, અમારા પરંપરાગત જ્ઞાનના સંરક્ષણ અંગે પૂરતી જાગૃતિ ન હોવાને કારણે અન્ય કોઈએ તેનો લાભ લઈ લીધો. પેટન્ટના મહત્ત્વને સમજીને ભારતે લગભગ દસ વર્ષ સુધી આ કેસ લડ્યો, ત્યારબાદ તે પેટન્ટ રદ કરવામાં આવ્યું. તેથી, આપણા જ્ઞાન અને વારસાનું સંરક્ષણ કરવા માટે પેટન્ટ નોંધણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
આ કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ હાઇલાઇટ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (જીઆઈ) પ્રાદેશિક બેઠક રહ્યો હતો. આ અવસરે ડૉ. ઉન્નત પંડિત, કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડ માર્ક્સ (સીજીપીડિટીએમ),ડીપીઆઈઆઈટી, ભારત સરકાર દ્વારા ‘સુરત કટ (ડાયમંડ)’ માટેનું જીઆઈ પ્રમાણપત્ર સુરત ડાયમંડ એસોસિએશનના અધ્યક્ષ જગદીશભાઈ ખુન્ટને, એસોસિએશનના અન્ય સભ્યોની હાજરીમાં અર્પણ કરવામાં આવ્યું હતું. સુરતનું હીરા ઉદ્યોગ વૈશ્વિક હીરા બજારમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ભારતના લગભગ 90% પોલિશ્ડ હીરાનું ઉત્પાદન સુરતમાં થાય છે. આ માન્યતા જીઆઈ માળખા હેઠળ પ્રદેશની અનન્ય કારીગરી અને વારસાને સત્તાવાર રીતે માન્યતા આપતા એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે નોંધપાત્ર છે.
ડૉ. પંડિતે પરંપરાગત હસ્તકળાઓ સાથે સંકળાયેલા કારીગરોને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (જીઆઈ) અધિકૃત ઉપયોગકર્તા પ્રમાણપત્રો પણ પ્રદાન કર્યા હતા. ટંગાલિયા શૉલના કુલ 57 અધિકૃત ઉપયોગકર્તાઓ, જેમનું પ્રતિનિધિત્વ લવજીભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ માતા ની પછેડીના 34 અધિકૃત ઉપયોગકર્તાઓ, જેમનું પ્રતિનિધિત્વ ભાનુભાઈ ચિતારા દ્વારા કરવામાં આવ્યું હતું, તેમને આ અનન્ય પરંપરાગત હસ્તકળાઓના સંરક્ષણ અને પ્રોત્સાહનમાં આપેલા યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના સંબોધનમાં ડૉ. પંડિતે જણાવ્યું: “ભારત અનેક ક્ષેત્રોમાં વર્ષોની પ્રથાઓ અને અનુભવ પર આધારિત સમૃદ્ધ જ્ઞાનનો ભંડાર ધરાવતું દેશ છે. આ વિચારો અને તેમાં સંકળાયેલી પ્રક્રિયાઓને યોગ્ય સમયે પ્રોત્સાહન આપવું અને તેનું સંરક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીઆઈ સુવિધા આપણા ઉત્પાદકો અને કારીગરોના સામાજિક તથા આર્થિક કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે અત્યંત મદદરૂપ બને છે. મને આનંદ છે કે અમે સક્રિય રીતે તેમને તેમના ઉત્પાદનોને જીઆઈ ટેગિંગ પ્રાપ્ત કરવામાં સહાય કરી રહ્યા છીએ, જેથી તેમને વધુ સારી ઓળખ મળી શકે.”
ઇડીઆઈઆઈ પરંપરાગત હસ્તકળાઓ અને ઉત્પાદનો માટે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (જીઆઈ) નોંધણીને પ્રોત્સાહન આપવા માટે સક્રિય રીતે કાર્ય કરી રહ્યું છે. અત્યાર સુધી સંસ્થાએ પાંચ હસ્તકળાઓ માટે જીઆઈ ટેગિંગ સુલભ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે – ગુજરાત સુફ એમ્બ્રોઇડરી, અમદાવાદ સોદાગરી બ્લોક પ્રિન્ટ, ભરુચ સુજની વીવિંગ, સુરત સાદેલી ક્રાફ્ટ અને સુરત કટ (ડાયમંડ). તે ઉપરાંત, સંસ્થાએ એમએસએમઇ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ફેસિલિટેશન સેન્ટર (એમએસએમઇ આઈપીએફસી) હેઠળ ગુજરાતની 15 હસ્તકળાઓ અને કૃષિ ઉત્પાદનો માટે જીઆઈ ટેગિંગની પ્રક્રિયા શરૂ કરી છે, જે હાલમાં પ્રક્રિયાના અદ્યતન તબક્કામાં છે.
કારીગરો અને ઉત્પાદક જૂથોને વધુ મજબૂત સહાય પૂરી પાડવા માટે ઇડીઆઈઆઈ એ તેના કેમ્પસ ખાતે નાબાર્ડ દ્વારા સમર્થિત પ્રાદેશિક જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (જીઆઈ) ફેસિલિટેશન સેન્ટર પણ સ્થાપિત કર્યું છે. આ કેન્દ્ર ગુજરાતમાં પોતાના પ્રકારનું પ્રથમ છે અને રાજ્યભરના કારીગરો, ઉત્પાદક જૂથો અને ઉદ્યોગસાહસિકોને સહાયતા આપવા માટે સ્થાપિત કરવામાં આવ્યું છે. છેલ્લા છ મહિના દરમિયાન આ કેન્દ્ર દ્વારા કુલ રૂ. 3 લાખથી વધુનું વેચાણ સર્જાયું છે, જેના કારણે કારીગરોને વધુ સારા બજાર અવસરો સુધી પહોંચ મેળવવામાં મદદ મળી છે.
પેટન્ટ નોંધણી અને જીઆઈ ટેગિંગના વિષય પર પોતાની વાત રજૂ કરતા ડૉ. સુનીલ શુક્લા, ડિરેક્ટર જનરલ, ઇડીઆઈઆઈ એ જણાવ્યું: “પેટન્ટ નોંધાવવું આપણા સમૃદ્ધ જ્ઞાન અને પરંપરાનું સંરક્ષણ કરવાની પ્રક્રિયામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિચારોમાંથી નવીનતા જન્મવી જોઈએ અને નવીનતા અંતે વાણિજ્યીકરણ સુધી પહોંચવી જોઈએ, જેથી વિચારોનો સમાજ અને અર્થતંત્રના કલ્યાણ પર સકારાત્મક પ્રભાવ પડી શકે. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (જીઆઈ) ઉત્પાદનોના સંરક્ષણ માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે.”
આઈપી યાત્રા દરમિયાન ઉદ્યોગસાહસિકો અને નવીનતા સર્જકોમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (આઈપીઆર) અંગે જાગૃતિ અને સમજ વધારવાના ઉદ્દેશ સાથે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપતી સત્રો પણ યોજવામાં આવ્યા હતા. આ સત્રોનું સંચાલન નિલેશ પંડિત, લીડ (આઈપીઆર – પેટન્ટ્સ), ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને નેહા વર્મા, જનરલ કાઉન્સેલ, પુનિસ્કા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પેટન્ટ વ્યૂહરચના, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સંરક્ષણ, બ્રાન્ડને એસેટમાં રૂપાંતરિત કરવું અને વ્યવસાયિક વૃદ્ધિ માટે બૌદ્ધિક સંપદાનો અસરકારક ઉપયોગ કરવાની મહત્વતા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને વિચારવિમર્શ શેર કર્યા હતા.
